Om Ka Hari Trailer Out: અંશુમન ઝા અને રઘુબીર યાદવ સ્ટાર ફેમિલી ડ્રામેડી ફિલ્મ `ઓમ કા હરિ`નું ટ્રેલર રિલીઝ; હરીશ વ્યાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે; આ ફિલ્મ મૃત્યુ, પેઢીગત સંઘર્ષો અને સ્નેહને આવરી લેશે
`ઓમ કા હરિ` ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
હરીશ વ્યાસ (Harish Vyas) દ્વારા નિર્દેશિત આગામી ફેમિલી ડ્રામેડી ફિલ્મ `ઓમ કા હરિ` (Om Ka Hari)નું ઓફિશ્યલ ટ્રેલર ગુરુવાર, ૩ સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પિતા અને પુત્ર વચ્ચેના વર્ષો જૂના મતભેદ અને સ્નેહની એક આકર્ષક ઝલક જોવા મળે છે. ફર્સ્ટ રે ફિલ્મ્સ (First Ray Films) દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અંશુમન ઝા (Anshuman Jha) અને પીઢ અભિનેતા રઘુબીર યાદવ (Raghubir Yadav) મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સોની રાઝદાન (Soni Razdan) અને આયેશા કપૂર (Ayesha Kapur) મહત્વપૂર્ણ સહાયક પાત્રોમાં છે. આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
વારાણસીની અણધારી યાત્રા પેઢીગત સંઘર્ષને દર્શાવે છે
ADVERTISEMENT
ફિલ્મની મુખ્ય વાર્તા (Om Ka Hari Trailer Out) હરિપ્રસાદ (રઘુબીર યાદવ) ની આસપાસ ફરે છે, જેઓ અચાનક તબિયત લથડ્યા પછી એવું માની લે છે કે તેમની પાસે જીવવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પોતાના અંતિમ દિવસો પવિત્ર શહેર વારાણસીમાં વિતાવવાનો સંકલ્પ કરીને તેઓ ત્યાં જવાની જીદ કરે છે, જેના કારણે તેમના અનિચ્છુક પુત્ર ઓમ (અંશુમન ઝા) ને તેમની સાથે જવાની ફરજ પડે છે. મૃત્યુનો સામનો કરવા માટે શરૂ થયેલી આ રોડ ટ્રિપ બાકી રહેલું જીવન કેવી રીતે જીવવું તેની ઊંડી શોધમાં પરિવર્તિત થઈ જાય છે.
આ રોડ ટ્રિપ દરમિયાન, ફિલ્મ જિદ્દી પિતા અને પોતાના વિચારો ધરાવતા પુત્ર વચ્ચે સતત ચાલતી ખેંચતાણ, અણકહેલા સ્નેહ અને જીવન પ્રત્યેના વિરોધાભાસી દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. સમગ્ર વાર્તામાં પારિવારિક ગૂંચવણો અને અસ્તવ્યસ્ત ઘરેલું વાતાવરણને વણી લેવામાં આવ્યું છે, જે ગંભીર નાટ્યાત્મકતાની સાથે રમૂજનો સુંદર સમન્વય સાધે છે.
કલાકારો અને નિર્દેશકે જટિલ કૌટુંબિક સંબંધો પર પ્રકાશ પાડ્યો
પોતાના પાત્ર વિશે વાત કરતા રઘુબીર યાદવે વાર્તાની સાર્વત્રિકતા પર ભાર મૂકતા નોંધ્યું હતું કે પિતા અને પુત્ર લગભગ દરેક બાબતમાં અસહમત હોઈ શકે છે, છતાં તેઓ મૂળભૂત રીતે એકબીજા સાથે જોડાયેલા રહે છે. તેમણે હરિના પાત્રને જિદ્દી અને પોતાના વિચારોમાં મક્કમ ગણાવ્યું હતું, જે અણકહેલા પ્રેમથી પ્રેરાયેલું છે. અંશુમન ઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફિલ્મ કૌટુંબિક સંબંધોને કાલ્પનિક કે આદર્શ રીતે દર્શાવવાને બદલે એ વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે લોકો મોટાભાગે જેમની સૌથી વધુ પરવા કરે છે તેમની સાથે જ સંવાદ સાધવામાં સૌથી વધુ સંઘર્ષ કરે છે.
અભિનેત્રી સોની રાઝદાને ટિપ્પણી કરી હતી કે આ વાર્તા એક એવા પરિવારના સારને રજૂ કરે છે જે પોતાની તમામ ખામીઓ અને અસ્તવ્યસ્તતા છતાં એકજૂથ રહે છે. અંશુમન ઝા સાથે ડિરેક્ટર તરીકે પોતાના ત્રીજા પ્રોજેક્ટ અંગે વાત કરતા હરીશ વ્યાસે નોંધ્યું હતું કે પિતા અને પુત્ર જ્યારે એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો હોય ત્યારે જે ચોક્કસ મુશ્કેલીનો સામનો કરે છે તેને આ ફિલ્મ નજીકથી તપાસે છે.
વૈવિધ્યસભર સંગીતમાં સ્વર્ગસ્થ ગાયિકા આશા ભોસલેનું ગીત પણ સામેલ
ફિલ્મનું મ્યુઝિક આલ્બમ રોમેન્ટિક, વિચારપ્રેરક અને આધ્યાત્મિક સુર તરફ આગળ વધે છે, જેમાં અમિત કુમાર, પરેશ પહૂજા, રઘુબીર યાદવ અને અન્ય કલાકારોના અવાજનો સમાવેશ થાય છે. વિશેષરૂપે, આ સાઉન્ડટ્રેકમાં સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું પ્લેબેક રેકોર્ડિંગ પણ સામેલ છે, જે યાદો, વારસો અને અણકહેલી લાગણીઓ પર આધારિત આ ફિલ્મની સંગીતમય શ્રેષ્ઠતામાં વધારો કરે છે.
