પ્રતીક ગાંધીની પહેલી હિન્દી ફિલ્મ વિવાદ છોડવાનું નામ નથી લેતી. ‘રાવણલીલા’ નામ બદલીને ‘ભવાઈ’ કર્યું તો ગુજરાતના તરગાળા સમાજે આ નામ સામે વિવાદ કર્યો અને સેન્સર બોર્ડે પણ પૂછ્યા વિના ટાઇટલ ચેન્જ કરવા અને અપ્રૂવ્ડ થયેલી પ્રિન્ટમાં ચેડાં કરવા શો-કૉઝ નોટિસ
‘ભવાઈ’માં પ્રતીક ગાંધી
પ્રતીક ગાંધી સ્ટારર ફિલ્મ ‘ભવાઈ’ રિલીઝ થતાં પહેલાં વધુ એક વિવાદમાં ફસાઈ છે અને આ વખતે વિવાદનો આ ફાંસો માત્ર કોઈ સમાજ દ્વારા નહીં, પણ સેન્સર બોર્ડ તરફથી પણ ઊભો થયો છે. ‘રાવણલીલા’ના નામ સામે વિરોધ થતાં ફિલ્મનું ટાઇટલ ‘ભવાઈ’ કરવામાં આવ્યું અને એ ટાઇટલ સામે ગઈ કાલે ગુજરાતના તરગાળા સમાજે વિરોધ નોંધાવી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરવામાં ન આવે એવી માગણી કરી તો સેન્સર બોર્ડે ગઈ કાલે ફિલ્મના પ્રોડ્યુસરને શો-કૉઝ નોટિસ આપીને જવાબ માગ્યો છે કે ‘રાવણલીલા’ ટાઇટલ સાથે પાસ થયેલી ફિલ્મને તમે ‘ભવાઈ’ના નામે શું કામ રિલીઝ કરો છો?
વાત કરીએ પહેલા વિથવાદની. ગઈ કાલે અમદાવાદના મનદીપ ભોજકે કલેક્ટરને રજૂઆત કરી કે ‘ભવાઈ’ ફિલ્મની રિલીઝ ગુજરાતમાં ન થવા દેવી. મનદીપે કહ્યું કે ‘ટાઇટલ ‘રાવણલીલા’નો હિન્દુ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ થયો એટલે પ્રોડ્યુસરોએ એ નામ બદલીને ‘ભવાઈ’ કર્યું. રાવણની લીલા સામે ભવાઈએ તરગાળા સમાજ અને ભવાઈને જન્મ આપી કલાનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખનારા સમાજના વડવાઓનું અપમાન કર્યું છે. આવું અપમાન ન થવું જોઈએ. આ ફિલ્મ ગુજરાતમાં તો જ રિલીઝ થવી જોઈએ જો એનું ટાઇટલ બદલવામાં આવશે.’
ADVERTISEMENT
આ વિવાદ અંતર્ગત પ્રોડક્શન હાઉસ સ્ટેપ લેવાનું વિચારે એ પહેલાં તો સેન્સર બોર્ડે ફિલ્મ પર નવો બૉમ્બ ફોડ્યો અને પ્રોડ્યુસરને શો-કૉઝ નોટિસ આપી. સેન્સર બોર્ડે આપેલી શો-કૉઝ નોટિ સ મુજબ ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ ‘રાવણલીલા’ના નામે આપવામાં આવ્યું છે, એ પછી ફિલ્મ ‘ભવાઈ’ના નામે કેવી રીતે રિલીઝ કરવામાં આવે છે. સેન્સર બોર્ડે એવી પણ દલીલ કરી છે કે ધાર્મિક વિવાદના નામે સેન્સરમાંથી પાસ થયેલી ફિલ્મના અમુક ડાયલૉગ્સ પણ કટ કરવામાં આવ્યા છે, મતલબ કે સેન્સરે જે કૉપી જોઈ હતી એ કૉપી હવે રહી નથી ત્યારે ફિલ્મ કેવી રીતે રિલીઝ કરી શકાય?
ટેીક્નિલી અને કાયદાકીય રીતે વાત સાચી છે. જે ફિલ્મ સેન્સરમાંથી પાસ થઈ હોય એ જ ફિલ્મને રિલીઝ કરવાની હોય. સેન્સર બોર્ડ પાસ કરે એ પછી ફિલ્મમાં કોઈ પણ જાતનાં ચેડાં કરવાં એ કાયદેસરનો ગુનો છે અને જો ‘રાવણલીલા’માંથી ‘ભવાઈ’ બનેલી ફિલ્મમાં કોઈ પણ પ્રકારની કાપકૂપ થઈ હોય તો એ પ્રિન્ટ ફરીથી પાસ કરાવવી જરૂરી છે, પણ આ કામ પ્રોડક્શન-હાઉસ તરફથી થયું નથી કે ન તો પ્રોડક્શન-હાઉસે નામ ચેન્જ કર્યાની જાણકારી આપીને સેન્સર પાસેથી સર્ટિફિકેટમાં ચેન્જ કરાવ્યું. આવા સમયે ફિલ્મ રિલીઝ કરવી એ સેન્સર સર્ટિફિકેટ વિનાની ફિલ્મ રિલીઝ થઈ હોય એવું ગણાય, જે ભારતીય સંવિધાન મુજબ ગુનો છે
સેન્સર બોર્ડની શો-કૉઝ નોટિસ પછી જો હવે પહેલેથી ફિલ્મ સેન્સર માટે પાસ કરાવવી પડે તો ૧ ઑક્ટોબરે રિલીઝ થવાની શક્યતા છે નહીંવત્.