આર. માધવને તેના પર લાગી ગયેલા લેબલ વિશે સ્પષ્ટતા કરી
આર માધવન
આર. માધવન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘G.D.N.’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેણે સોશ્યલ મીડિયા પર થતી ટીકા તેમ જ ‘સંઘી’ કહીને કરવામાં આવતા ટ્રોલિંગ વિશે વાત કરી છે.
પોતાના અભિગમ વિશે વાત કરતાં માધવને કહ્યું હતું કે ‘હું કોઈ રાજકીય પક્ષનો સમર્થક નથી. બાળપણથી જ મને પોતાના દેશને પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું છે અને ભારતની સકારાત્મક બાબતોને દુનિયા સમક્ષ રજૂ કરવી કોઈ ગુનો હોઈ શકે નહીં. સોશ્યલ મીડિયા પર મને ઘણી વખત ‘સંઘી’ કહીને ટ્રોલ કરવામાં આવે છે, પણ ઇન્ટરનેટની દુનિયામાં એ સમજવું મુશ્કેલ નથી કે કોણ પોતાનો સાચો અભિપ્રાય વ્યક્ત કરે છે અને કોણ માત્ર કોઈ એજન્ડા હેઠળ ઍક્ટિવ છે. દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર અને ઉછેરનું પ્રતિબિંબ હોય છે. જો કોઈ ચૂંટાયેલો જનપ્રતિનિધિ દેશ માટે સારું કામ કરે તો તેની પ્રશંસા કરવામાં કંઈ ખોટું નથી. હું ટ્રોલ્સની કમેન્ટ પર નજર ફેરવું છું પણ એનાથી મારા નિર્ણય પર કોઈ અસર થતી નથી.’
