ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે વધતા તનાવ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેકર્સે આ નિર્ણય લીધો હોવાની ચર્ચા
ફિલ્મની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે
ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને સતત નવી અપડેટ્સ આવી રહી છે. ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાની યોજના છે જેમાં પ્રથમ ભાગ આ વર્ષે દિવાળીમાં રિલીઝ થવાનો છે. તાજેતરમાં મેકર્સે ફિલ્મની શરૂઆતનું લગભગ ૩ મિનિટનું એક ભવ્ય ટીઝર રજૂ કર્યું હતું. જોકે ચાહકો હવે નવા ટીઝર અથવા ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈને વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને મેકર્સે આ મહિને એક ખાસ ઇવેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે આ ઇવેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે ‘રામાયણ’ના મેકર્સે રામનવમી એટલે કે ૨૬ માર્ચે ‘રામાયણ’ના પહેલા ભાગ માટે એક ગ્રૅન્ડ ઇવેન્ટ યોજવાનું નક્કી કર્યું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારોના લુકને રજૂ કરવાની યોજના હતી. આ કાર્યક્રમ ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે યોજવાનો પ્લાન હતો. જોકે હવે આ કાર્યક્રમ પોસ્ટપૉન કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે વધતા તનાવ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેકર્સે આ નિર્ણય લીધો છે. ટીમ કોઈ ઉતાવળમાં પ્રમોશનલ સામગ્રી રજૂ કરવા માગતી નથી અને યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. હવે આ ઇવેન્ટ ૨૬ માર્ચને બદલે લગભગ બે મહિના પછી એટલે કે મે મહિનામાં યોજાઈ શકે છે.
ADVERTISEMENT
રામાયણની રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આ તસવીર છે બનાવટી

ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ આ વર્ષની બહુચર્ચિત ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ અને રવિ દુબે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર રણબીર કપૂર અને સાઈ પલ્લવીની એક તસવીર ચર્ચામાં હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે આ તસવીર ફિલ્મના સેટ પરથી લીક થઈ છે. જોકે બાદમાં સ્પષ્ટ થયું હતું કે આ તસવીર સાચી નથી, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરવામાં આવી છે.
