‘ડૉન ૩’ના ૪૫ કરોડ રૂપિયાના વિવાદ વચ્ચે રણવીર સિંહે IMPPAને આ મામલાથી દૂર રહેવાની ચેતવણી આપી હોવાના અહેવાલ છે. રણવીરના વકીલોનું કહેવું છે કે ફિલ્મમાંથી બહાર થવાનો મુદ્દો રણવીર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની વચ્ચેનો હોવાથી IMPPAએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
રણવીર સિંહ
હાલમાં રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે ‘ડૉન ૩’ના ૪૫ કરોડ રૂપિયાનો વિવાદ ચાલી રહ્યો છે. હવે રિપોર્ટ છે કે રણવીરે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (IMPPA)ને આ મામલાથી દૂર રહેવાની ચેતવણી આપી છે અને કહ્યું છે કે ‘ડૉન ૩’માંથી તેના બહાર થવાનો મામલો તેના અને ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર તથા રિતેશ સિધવાની વચ્ચેનો છે.
મળતી માહિતી પ્રમાણે રણવીરનું માનવું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી બૉડીએ આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. તેના વકીલોએ પણ કથિત રીતે કહ્યું છે કે IMPPAએ આ મામલો હાથમાં ન લેવો જોઈએ, કારણ કે આ એના અધિકારક્ષેત્રમાં આવતો નથી. જોકે IMPPAના પ્રમુખ અભય સિંહાએ અસોસિએશનના હસ્તક્ષેપનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે સંસ્થા પોતાના નક્કી કરાયેલા માળખા હેઠળ રહીને જ આ મામલે કાર્યવાહી કરી રહી છે.
