રિતેશ દેશમુખે પિતા વિલાસરાવ દેશમુખની પુણ્યતિથિ પર શૅર કરી ભાવુક પોસ્ટ, કહ્યું...તમે ગયા એને ૧૪ વર્ષ થઈ ગયાં પણ મારો વનવાસ પૂરો નથી થયો, તુમ્હાલા જાઉન ૧૪ વર્ષ ઝાલી, માઝા વનવાસ કાહી સંપલા નાહી.
તમે ગયા એને ૧૪ વર્ષ થઈ ગયાં પણ મારો વનવાસ પૂરો નથી થયો
રિતેશ દેશમુખે પોતાના પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખની પુણ્યતિથિ પર તેમની એક જૂની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરીને અત્યંત ભાવુક નોંધ લખી છે. આ તસવીરમાં રિતેશ પોતાના પિતા સાથે હસતો અને આનંદની ક્ષણો વિતાવતો જોવા મળે છે. તેણે મરાઠીમાં લખ્યું છે કે તુમ્હાલા જાઉન ૧૪ વર્ષ ઝાલી, માઝા વનવાસ કાહી સંપલા નાહી (તમારા ગયાને ૧૪ વર્ષ થઈ ગયાં, પરંતુ મારો વનવાસ હજી પૂરો થયો નથી).
વિલાસરાવ દેશમુખને ૨૦૧૧માં લિવરની બીમારી સિરૉસિસ હોવાનું નિદાન થયું હતું. ઑગસ્ટ ૨૦૧૨માં તેમની તબિયત વધુ લથડતાં તેમને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને લિવર અને કિડની ફેલ્યર હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ લિવર ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) માટે તેમને ઍરલિફ્ટ કરીને ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા.
જોકે તેમની તબિયત વધુ નાજુક બનતાં ૨૦૧૨ની ૧૪ ઑગસ્ટે મલ્ટિપલ ઑર્ગન ફેલ્યરને કારણે તેમનું અવસાન થયું હતું. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના ૧૪મા મુખ્ય પ્રધાન તરીકે બે ટર્મ રહ્યા હતા - પ્રથમ ૧૯૯૯થી ૨૦૦૩ અને ત્યાર બાદ ૨૦૦૪થી ૨૦૦૮ સુધી. પછીથી તેઓ કેન્દ્રીય કૅબિનેટમાં જોડાયા હતા, જ્યાં તેમણે સાયન્સ અને ટેક્નૉલૉજી તેમ જ અર્થ સાયન્સિસ જેવાં મહત્ત્વનાં ખાતાં સંભાળ્યાં હતાં.
