સંજય દત્તે ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તન પર દુઃખ વ્યક્ત કર્યું
સંજય દત્ત
સંજય દત્ત એવો કલાકાર છે જેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને ખૂબ નજીકથી જોઈ છે. સંજય દત્તની મમ્મી નરગિસ અને પપ્પા સુનીલ દત્ત બન્ને જાણીતાં કલાકારો રહ્યાં હોવાથી બાળપણથી જ તે ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો હતો. પોતાની લાંબી કરીઅરમાં સંજયે સફળતા અને સંઘર્ષ બન્નેનો સામનો કર્યો છે. હાલમાં સંજયે બૉલીવુડમાં આવેલા બદલાવ તેમ જ પોતાના જેલના દિવસોમાં મળેલા જીવનના મહત્ત્વના પાઠ વિશે વાત કરી છે.
સંજય દત્તે પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે ‘જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે આખી ઇન્ડસ્ટ્રી એક પરિવાર જેવી હતી. બધા સાથે મળીને કામ કરતા અને એકબીજાની મદદ કરતા. હવે અહીં સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે. હૉલીવુડ આ બાબતમાં આપણાથી ઘણું અલગ છે. ત્યાં બધા એકજૂટ છે. કલાકારો અને લેખકો એકબીજાનો સાથ આપે છે. ત્યાં અનેક સંસ્થાઓ છે, જે દરેકને સપોર્ટ કરે છે. ઑસ્કર સમારોહમાં પણ કોઈ ઈર્ષ્યા જોવા મળતી નથી. જ્યારે કોઈ કલાકાર અવૉર્ડ લેવા જાય છે ત્યારે બધા દિલથી તેની ખુશી ઊજવે છે.’
કૉન્સ્ટેબલ પાસેથી શીખ્યો જીવનનો મહત્ત્વનો પાઠ
ADVERTISEMENT
સંજય દત્તે પોતાના જીવનનો લગભગ પાંચ વર્ષ જેટલો સમય જેલમાં પસાર કર્યો છે. પોતાના જીવન વિશે વાત કરતી વખતે સંજયે જેલમાં વિતાવેલા દિવસો વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં જેલમાં ક્ષમા કરવાનું શીખ્યું. એક કૉન્સ્ટેબલે મને કહ્યું હતું કે લોકોને માફ કરવાનું શીખો. આ રીતે જ જીવનમાં તમે વધુ આગળ વધશો. કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય તો પણ તેને માફ કરી દો.’
