શબાના આઝમીએ જાવેદ અખ્તર સાથેના ચાર દાયકાના સફળ લગ્નજીવનનું રહસ્ય જણાવ્યું
શબાના આઝમી અને જાવેદ અખ્તર
ઍક્ટ્રેસ શબાના આઝમી અને પ્રખ્યાત લેખક-ગીતકાર જાવેદ અખ્તરના લગ્નને ચાર દાયકાથી વધુ સમય થઈ ગયો છે. ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત જોડીઓમાં સામેલ આ દંપતીએ તાજેતરમાં પોતાના સંબંધ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. શબાનાએ જણાવ્યું હતું કે બન્ને વચ્ચે મતભેદ અને ઝઘડા તો થાય છે, પણ તેમની મજબૂત દોસ્તી અને એકસરખી વિચારધારા જ તેમના સંબંધની સૌથી મોટી તાકાત છે.
પતિ જાવેદ અખ્તરની ખાસિયત વિશે વાત કરતાં શબાના આઝમીએ કહ્યું હતું કે ‘જાવેદ અખ્તરની બુદ્ધિમત્તા અને હાજરજવાબી સ્વભાવે મને સૌથી વધુ આકર્ષિત કરી હતી. મને જીવનમાં બહુ ઓછા બુદ્ધિશાળી લોકો મળ્યા છે અને જાવેદ એમાંથી એક છે. જાવેદ અને મારા પિતાનું બૅકગ્રાઉન્ડ તથા વિચારસરણી ઘણી હદ સુધી મળતી આવતી હતી. જાવેદનાં માતા-પિતા પણ પ્રગતિશીલ લેખકો હતાં અને કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલાં હતાં. સાથે જ તેમને ઉર્દૂ શાયરી પ્રત્યે પણ વિશેષ લગાવ હતો. એવું નથી કે અમારી વચ્ચે બધું બહુ ગુલાબી-ગુલાબી છે, અમારી વચ્ચે પણ મોટા ઝઘડા થાય છે. જોકે અમારી દોસ્તી ખૂબ જ મજબૂત છે. અમારી વિચારધારા એકસરખી છે અને મારા માટે એ જ સૌથી મહત્ત્વની વાત છે. જાવેદ દરેક પ્રકારના લોકો સાથે ખૂબ સરળતાથી ભળી જાય છે. લોકો સાથે વાતચીત કરવાની તેની ક્ષમતા અદ્ભુત છે અને તે ખૂબ જ નિષ્પક્ષ વ્યક્તિ છે. જાવેદની આ ખાસિયત પ્રત્યે મને ખૂબ માન છે.’
