શાહરૂખ ખાનના મુંબઈના આલીશાન બંગલા ‘મન્નત’માં હવે બે નવા માળ ઉમેરાશે. જાણો 300 કરોડના આ બંગલાની ખાસિયતો, લક્ઝરી સુવિધાઓ અને શાહરુખ ખાનની વિશ્વમાં કેટલી અને ક્યાં, કઈ પ્રૉપર્ટી છે તે વિશે વિગતે...
શાહરૂખ ખાન
બૉલિવૂડના કિંગ ખાનને તેમના મુંબઈના બંગલા `મન્નત` માટે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હવે શાહરૂખ ખાનના આ આલીશાન બંગલામાં બે નવા માળ ઉમેરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે ‘મન્નત’માં સાતમા અને આઠમા માળના બાંધકામ માટે આપવામાં આવેલી મંજૂરીને પડકારતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્ણયમાં દખલ દેવાની ના પાડી દીધી છે. આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બૅન્ચે મુંબઈના સામાજિક કાર્યકર સંતોષ દૌંડકરની અરજી ફગાવી હતી. આ અરજીમાં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી (MCZMA) દ્વારા આપવામાં આવેલી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) મંજૂરીને પડકારવામાં આવી હતી. NGTની પશ્ચિમ ઝોનલ બૅન્ચ, પુણે દ્વારા અગાઉ આ મંજૂરીને યોગ્ય ગણાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ હવે NGTના આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.
300 કરોડનો છે શાહરૂખનો ‘મન્નત’ બંગલો
ADVERTISEMENT
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલો શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ બૉલિવૂડના સૌથી જાણીતા સેલિબ્રિટી ઘરોમાંથી એક છે. રિપોર્ટ મુજબ, આજે આ બંગલાની કિંમત લગભગ 300 કરોડ રૂપિયા છે. શાહરૂખ ખાને વર્ષ 2001માં આ બંગલો લગભગ 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સમય જતાં ‘મન્નત’ માત્ર એક ઘર નહીં પરંતુ શાહરૂખ ખાનના ચાહકો માટે એક ખાસ ઓળખ બની ગયું છે. હવે બે નવા માળ ઉમેરાયા બાદ આ બંગલો વધુ વિશાળ અને આધુનિક બનશે.
સીફેસ ધરાવતા આ બંગલાનું કુલ ક્ષેત્રફળ લગભગ 27,000 સ્ક્વેર ફૂટ છે. હાલમાં ‘મન્નત’માં 6 માળ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે તેમાં વધુ 2 માળ ઉમેરવામાં આવશે. આ સાથે ‘મન્નત’ કુલ 8 માળનો આલીશાન બંગલો બની જશે. આ બંગલાની ડિઝાઇન આર્કિટેક્ટ રાજીવ પારેખે તૈયાર કરી છે. જ્યારે તેનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને કૈફ ફાકી દ્વારા કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાનના ‘મન્નત’ બંગલાની સુંદરતા માત્ર તેની ડિઝાઇન સુધી સીમિત નથી. આ બંગલાની ખાસ ઓળખ તેની શાનદાર નેમ પ્લેટ પણ છે. આ નેમ પ્લેટને શાહરૂખ ખાનની પત્ની અને ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાને પોતે ડિઝાઇન કરી છે. રિપોર્ટ મુજબ, આ ખાસ નેમ પ્લેટની કિંમત લગભગ 25 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ નેમ પ્લેટમાં હીરા જડવામાં આવ્યા છે, જેના કારણે તેની કિંમત આટલી વધારે છે. ‘મન્નત’ની આ અનોખી નેમ પ્લેટ પણ બંગલાની લક્ઝરી અને શાહી અંદાજને દર્શાવે છે. ‘મન્નત’માં આધુનિક સુવિધાઓથી સજ્જ જિમ, શાનદાર સ્વિમિંગ પૂલ, ભવ્ય લાઇબ્રેરી, શાહરૂખ ખાનની ઑફિસ અને પ્રાઇવેટ થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.
શાહરૂખ ખાનની દુનિયાભરમાં ફેલાયેલી લક્ઝરી પ્રોપર્ટી
શાહરૂખ ખાન માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ જાણીતા છે. રિપોર્ટ્સ મુજબ, શાહરૂખ ખાન પાસે દુનિયાના અલગ-અલગ શહેરોમાં ઘણી લક્ઝરી પ્રોપર્ટી છે. આ તમામ પ્રોપર્ટીની કુલ કિંમત લગભગ 1,227 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શાહરૂખ ખાન પાસે મુંબઈ ઉપરાંત અલીબાગમાં પણ એક મોટું ફાર્મહાઉસ છે. આ ફાર્મહાઉસ લગભગ 20 હજાર સ્ક્વેર ફૂના વિસ્તારમાં ફેલાયેલું છે. દિલ્હીમાં પણ શાહરૂખ ખાનનું એક આલીશાન ઘર છે. આ સિવાય દુબઈના પામ જુમેરાહ વિસ્તારમાં પણ શાહરૂખ ખાનનો એક લક્ઝરી વિલા છે. તેણે આ વિલાનું નામ ‘જન્નત’ રાખ્યું છે. લગભગ 8,500 સ્ક્વેર ફૂટમાં બનેલા આ વિલાની કિંમત લગભગ 18 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
શાહરૂખ ખાન પાસે અમેરિકાના કૅલિફોર્નિયાના બેવર્લી હિલ્સમાં પણ એક ભવ્ય હવેલી છે. રિપોર્ટ મુજબ, આ હવેલીમાં 6 બેડરૂમ, પ્રાઇવેટ ટેનિસ કોર્ટ અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત લંડનના પાર્ક લેન વિસ્તારમાં પણ શાહરૂખ ખાનની પ્રોપર્ટી છે. ન્યૂયોર્કમાં પણ તેની પાસે એક લક્ઝરી અપાર્ટમેન્ટ હોવાનું કહેવાય છે. શાહરૂખ ખાનની આ પ્રોપર્ટી તેની સફળતા અને વૈભવી જીવનશૈલીને દર્શાવે છે.
હાલમાં શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ કારણે શાહરૂખ ખાન અને તેનો પરિવાર હાલ બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં આવેલા એક ચાર માળના અપાર્ટમેન્ટમાં રહે છે. રિપોર્ટ્સ મુજબ, આ અપાર્ટમેન્ટ માટે શાહરૂખ ખાન દર મહિને લગભગ 24 લાખ રૂપિયાનું ભાડું ચૂકવી રહ્યો છે. આ સિવાય ગૌરી ખાને પરિવારના સ્ટાફ અને કર્મચારીઓના રહેવા માટે નજીકમાં જ એક અલગ પ્રોપર્ટી ભાડે લીધી છે. આ પ્રોપર્ટીનું માસિક ભાડું લગભગ 1.35 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ‘મન્નત’નું કામ પૂરું થયા બાદ શાહરૂખ ખાન અને તેનો પરિવાર ફરી પોતાના આ આલીશાન બંગલા `મન્નત`માં પાછો ફરશે.
