‘ઝિંદગી મેરે ઘર આના’ શોમાં ચાર વર્ષ પછી ઍક્ટર દેખાશે
હસન ઝૈદી
ટીવી-શો છોડીને હિન્દી ફિલ્મો તરફ વળી ગયેલો ઍક્ટર હસન ઝૈદી હવે ફરીથી ટીવી પર જોવા મળશે. સ્ટાર ટીવીના નવા શો ‘ઝિંદગી મેરે ઘર આના’ની સ્ટોરીલાઇન સાંભળીને હસને શો કરવા માટે હા પાડી. હસન કહે છે, ‘વાત ફૅમિલીની છે, પણ એમાં એક એવા બાળકની વાત છે જેનો હજી જન્મ નથી થયો. તેને જ ઝિંદગી કહેવામાં આવી છે અને આ જ ઝિંદગીની રાહ જોવામાં આવે છે. રાહ જોવાનું કામ સિરિયલમાં કોઈ એક વ્યક્તિ નથી કરતી, પણ ઘણા લોકો કરે છે. વાત
મેં સાંભળી ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું આ શો કરીશ. કમબૅક માટે આનાથી બેસ્ટ શો બીજો કોઈ હોઈ શકે જ નહીં.’
હસન ઝૈદીએ આ શો માટે ૧૪ કિલો વજન ઉતાર્યું હતું. હસન કહે છે, ‘જે પ્રકારનો રોલ છે એ જોતાં મારે માટે એ જરૂરી હતું.’
હસને આ સિરિયલ માટે એક વેબ-સિરીઝ પણ છોડી. હસન કહે છે, ‘એમાં મારે એ જ કરવાનું હતું જે હું કરતો આવ્યો છું, પણ આ સિરિયલમાં મને કશુંક નવું કરવા મળતું હોવાથી મેં એ સ્વીકારી લીધી.’