ટીઆરપી માટે અલગ-અલગ શોની કાસ્ટ જઈ રહી છે મંદિરોની મુલાકાતે
ભાબીજી ઘર પર હૈં!’ની ટીમ અને ‘અટલ’ની ટીમ
‘ભાબીજી ઘર પર હૈં!’ની ટીમ અને ‘અટલ’ની ટીમ હાલમાં જ મંદિરની મુલાકાતે ગઈ હતી. ‘ભાબીજી ઘર પર હૈં!’ની ટીમ વારાણસી ગઈ હતી જેમાં આસિફ શેખ અને વિદિશા શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે. તેઓ કાશી વિશ્વનાથના મંદિરે શિવ મહોત્સવમાં હાજરી આપવા માટે ગયા હતા. શિવરાત્રિ નજીક હોવાથી ટીવી-શોમાં એના ટ્રૅકનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમ જ કેટલાક શોની કાસ્ટ મંદિરમાં જઈને શોનું પ્રમોશન કરી રહી છે જેથી વધુ ટીઆરપી મેળવી શકે. બાર જ્યોતિર્લિંગમાંના એક એવા કાશી વિશ્વનાથનાં દર્શન વિશે આસિફે કહ્યું કે ‘કાશી વિશ્વનાથનાં દર્શને જવાની મારી ઘણા સમયથી ઇચ્છા હતી અને હવે એ પૂરી થઈ છે. ‘ભાબીજી ઘર પર હૈં!’ને નવ વર્ષ પૂરાં થયાં છે અને એને સેલિબ્રેટ કરવા માટે આનાથી સારો રસ્તો શું હોઈ શકે? મંદિરની ગોલ્ડન છત અને કારીગરી જોઈને હું અભિભૂત થઈ ગયો હતો. મંદિરના પરિસરમાં પગ મૂકતાંની સાથે જ મને સ્પિરિચ્યુઆલિટીનો એહસાસ થયો હતો.’
મહાશિવરાત્રિ પહેલાં ‘અટલ’ના ઍક્ટર્સ મુંબઈના બાબુલનાથ મંદિરની મુલાકાતે ગયા હતા. અટલ બિહારી વાજપેયીનું યુવાનીનું પાત્ર ભજવનાર વ્યોમ ઠક્કર, નેહા જોષી અને આશુતોષ કુલકર્ણી મંદિરે ગયાં હતાં. ક્રિષ્ના દેવી વાજપેયીનું પાત્ર ભજવતી નેહાએ કહ્યું કે ‘હવામાં જ ભક્તિ હતી અને ત્યાંની જુદી-જુદી વ્યક્તિઓ સાથે એક યુનિટીનો એહસાસ થયો હતો. દર્શન બાદ પૂજારીએ ભસ્મ આપી હતી અને ચાંદલો પણ કર્યો હતો. શિવરાત્રિ પહેલાં શિવલિંગનાં દર્શન કરવાનો અનુભવ અદ્ભુત હતો.’