જો બીમારી ઘરમાંથી જવાનું નામ ન લેતી હોય અને એક પછી એક સતત તકલીફો આવ્યા જ કરતી હોય તો ઘરમાંથી નેગેટિવિટી દૂર કરવી જોઈએ
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય સંજોગોમાં આવતી બીમારી સમજી શકાય પણ ધારો કે એકધારી બીમારી ઘરમાં રહેતી હોય, એક પછી એક વ્યક્તિ બીમાર પડ્યા કરતી હોય અને ડૉક્ટરનાં ચક્કરો કાપવા સિવાય છૂટકો ન હોય તો ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરવી જોઈએ, જેના માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ રસ્તાઓ દેખાડ્યા છે. સીધી વાત છે, એ રસ્તાઓ અપનાવ્યા પછી પણ બીમારીને દૂર કરવા માટે ડૉક્ટરે સૂચવેલી દવાનું નિયમિત સેવન કરવું પણ એની સાથોસાથ અહીં દર્શાવેલા રસ્તાઓને પણ અમલમાં મૂકવા જેથી બીમારી ઘરથી દૂર થાય અને ઘરનું વાતાવરણ સ્વસ્થ બને.
કરો નિયમિત ગૂગળ-ધૂપ...
ADVERTISEMENT
કપૂર તો શ્રેષ્ઠ છે પણ જો ઘરમાં બીમારી રહેતી હોય તો નિયમિતપણે ઘરમાં ગૂગળનો ધૂપ પણ કરતા રહેવો જોઈએ. સાયન્સની દૃષ્ટિએ વાત કરીએ તો ગૂગળ ઍન્ટિ-વાઇરલ ઇફેક્ટ ઊભી કરે છે, જેને લીધે ઘરમાંથી વાઇરસને દૂર કરે છે તો સાથોસાથ ગૂગળ ઇમ્યુનિટી વધારવાનું કામ પણ કરે છે. આ ઉપરાંત ગૂગળ કેતુનો કારક છે અને કેતુ ગ્રહ જો નબળો હોય તો બીમારી આવે છે. ગૂગળ કરવાથી કેતુ ગ્રહ મજબૂત બને છે અને બીમારીથી દૂર રાખે છે. ગૂગળમાં અનેક પ્રકારનાં ગૂગળ આવે છે. જો શક્ય હોય તો ભીના ગૂગળનો ધૂપ કરવો જોઈએ. આ ભીનો ગૂગળ ઓળખવો સહેજ પણ અઘરો નથી.
હાથમાં લેતાં એમાં રહેલી ચીકાશ તમને સ્પર્શે છે, જેનાથી ખબર પડે છે કે એ ભીનો ગૂગળ છે.
ઘરમાંથી દૂર કરો ક્લટર
એવી ચીજવસ્તુ જેને પંદર દિવસથી વધારે સમય સુધી ટચ પણ ન કરી હોય એવી ચીજવસ્તુઓની સફાઈ કરવી અનિવાર્ય છે તો સાથોસાથ ઘરમાંથી નકામી ચીજવસ્તુઓનો નિકાલ કરવો પણ જરૂરી છે. જૂની, રદ્દી થઈ ગયેલી કે તૂટેલી-ફૂટેલી ચીજવસ્તુઓ ઘરમાં રાખવી એ માત્ર આર્થિક નુકસાનીને આમંત્રણ આપવાનું નહીં પણ શારીરિક તકલીફો ઊભી કરવાનું પણ કામ કરે છે. લાંબો સમય બીમારી એ જ ઘરમાં રહે છે જે ઘરમાં સફાઈની બાબતમાં બેદરકારી રાખવામાં આવતી હોય છે.
ઘરમાંથી બીમારી દૂર કરવા માટે તાત્કાલિક ઘરની સફાઈ કરો અને આ સફાઈ દરમ્યાન ધ્યાન રાખો કે સંઘરી રાખેલી જૂની દવાઓથી માંડીને પાટાપિંડી કે પછી જૂના નંબરવાળાં ચશ્માંઓનો પણ નિકાલ કરો.
સમુદ્રી નમકથી કરો સ્નાન
જે બીમાર રહેતું હોય તેને રોજેરોજ સમુદ્રી નમક નાખેલા પાણીથી સ્નાન કરાવો. આ બહુ જરૂરી છે. ધારો કે વીકનેસના કારણે તે સ્નાન કરી શકે એમ ન હોય તો પ્રયાસ કરો કે તેમને જે સ્પન્જ કરવામાં આવે એ પાણીમાં સમુદ્રી નમક હોય. સમુદ્રી નમક માત્ર ધરતીની જ નહીં, મનની નકારાત્મકતા પણ કાઢવાનું કામ કરે અને શરીરમાં પ્રવેશતી નકારાત્મકતા દૂર કરવાનું પણ કામ કરે છે.
સમુદ્રી નમક કરતાં પણ જો કંઈ ઉત્તમ હોય તો દરિયાના પાણીમાં નહાવું છે, જો દરિયાના પાણીમાં લાંબો સમય પગ ઝબોળી રાખવામાં આવે તો પણ એ લાભદાયી પુરવાર થાય છે. જો વ્યક્તિને ત્યાં સુધી લઈ જઈ શકાય નહીં તો દરિયાનું પાણી ઘરે લાવવાનો પ્રયાસ કરવાનું પણ ખોટું નથી.
રહો શ્વેત કલરની નજીક
જે બીમારી ભોગવતું હોય તેની નજીક મૅક્સિમમ સફેદ કલર રહે એવો પ્રયાસ થવો જોઈએ. સફેદ કલર શાંતીનું પ્રતીક છે એ સૌ જાણે છે, પણ સાથોસાથ એ પણ ખબર હોવી જોઈએ કે શ્વેત રંગ બીમારીનો શામક પણ છે. આ જ કારણ છે કે મહદ અંશે હૉસ્પિટલમાં સફેદ કલરનો ઉપયોગ થાય છે અને ડૉક્ટર પણ સફેદ વસ્ત્રોનો મહત્તમ ઉપયોગ કરે છે. બીમાર રહેતી વ્યક્તિને સફેદ કપડાં પહેરાવવામાં આવે તો તેને માનસિકની સાથોસાથ શારીરિક રાહત મળવાનું શરૂ થાય છે. જો ડૉક્ટરની સલાહ હોય તો પેશન્ટને વાઇટ કલરનું ફૂડ આપવાનું પણ શરૂ કરવું જોઈએ. પણ યાદ રહે, ડૉક્ટરની પરમિશન હોય તો.
પેશન્ટની આજુબાજુમાં રહેતી વ્યક્તિએ પણ પ્રયાસ કરવો જોઈએ કે તે પણ વધારેમાં વધારે સફેદ વસ્ત્રોમાં હોય. સફેદ કલર ચંદ્રનો પણ કારક છે અને શુક્રનો કારક છે. તૃપ્ત ચંદ્ર મનની શાંતિ આપે, જ્યારે તૃપ્ત શુક્ર જીવન જીવવાનો ઉત્સાહ આપે છે.
દવા રાખો સાચી દિશામાં
ઘરના દરેક કૉર્નરની પોતાની જુદી-જુદી તાકાત છે. કોઈ કૉર્નર વસ્તુને સંઘરી રાખવાનું કામ કરે છે તો કોઈ કૉર્નર ત્યાં પડેલી ચીજને સળગાવવાનું એટલે કે જલદી ઘરમાંથી કાઢવાનું કામ કરે છે. દવા જેવી ચીજવસ્તુઓને સામાન્ય રીતે વાયવ્ય દિશામાં એટલે કે વેસ્ટ-નૉર્થમાં રાખવી જોઈએ. વાયવ્ય દિશામાં રાખેલી ચીજ ઘરમાં લાંબો સમય ટકતી નથી. જો એ દિશામાં ધન રાખવામાં આવે તો ધન પણ ઘરમાં ટકે નહીં. દવાને વાયવ્ય દિશામાં રાખો અને સૌથી અગત્યની વાત, ભૂલથી પણ દવાને સાઉથ-વેસ્ટ એટલે કે નૈઋત્ય ખૂણામાં ન રાખો.
નૈઋત્યમાં રાખેલી ચીજ લાંબો સમય સુધી ઘરમાં રહે અને જો પ્રભાવશાળી નૈઋત્ય કોણ મળ્યો હોય તો એ કોણમાં રાખેલી ચીજ આજીવન ઘરમાં રહી જાય છે.

