રાજકુમાર બડજાત્યા સાથે ઘરોબો ધરાવતા હની છાયાએ ઝવેરચંદ મેઘાણીની આ નૉવેલની વાત કરી અને રાજશ્રી પ્રોડક્શન્સનું ફ્યુચર ચેન્જ થઈ ગયું
વેવિશાળ
મહાત્મા ગાંધી પાસેથી રાષ્ટ્રીય શાયરનું બિરુદ મેળવનારા ઝવેરચંદ મેઘાણીનાં તમામ સર્જન ઉત્કૃષ્ટ છે પણ લોકભોગ્ય સર્જનની જો કોઈ વાત કરવાની બને તો સૌથી પહેલું નામ તેમણે લખેલી નવલકથા ‘વેવિશાળ’ યાદ આવે.
‘વેવિશાળ’ નવલકથા પરથી ઉપેન્દ્ર ત્રિવેદી અને આમિર ખાનના મેન્ટર એવા મહેન્દ્ર જોષી સહિત ત્રણ ગુજરાતી પ્રોડ્યુસરે સુપરહિટ નાટક બનાવ્યાં તો ‘વેવિશાળ’ પરથી બે વખત ગુજરાતી ફિલ્મ પણ બની અને એટલું જ નહીં, મેઘાણીની આ જ નૉવેલના આધાર પર સલમાન ખાન અને ભાગ્યશ્રી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’નું પણ સર્જન થયું. બન્યું એમાં એવું કે સલીમ ખાનના અસિસ્ટન્ટ રાઇટર અને ગુજરાતીુ-હિન્દી નાટકોના ડિરેક્ટર હની છાયા એક વખત રાજશ્રી પિક્ચર્સના માલિક રાજકુમાર બડજાત્યા સાથે બેઠા હતા, જેમાં વાત-વાતમાં વાર્તાઓની ચર્ચા નીકળી અને છાયાએ તેમને ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’ની વાત કરી. રાજકુમાર બડજાત્યાના મનમાં વાર્તાનું બીજ સ્ટોર થઈ ગયું અને તેમણે એ જ વાર્તા સૂરજ બડજાત્યાને કહી, જેના પરથી સૂરજ બડજાત્યાએ ‘મૈંને પ્યાર કિયા’ની સ્ટોરી ડેવલપ કરી અને રેસ્ટ ઇઝ ધ હિસ્ટરી.
ADVERTISEMENT
અવર્ણનીય યાત્રા...
ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય ઘટના, પ્રસંગના આધારે ઊભું થતું પણ ‘વેવિશાળ’ માત્ર અને માત્ર કલ્પનાઓના આધારે લખાઈ છે. કદાચ મેઘાણીની આ પહેલી એવી નવલકથા છે જેમાં તેમણે કોઈ જાતની પૂર્વભૂમિકા વિના લખવાનું શરૂ કર્યું અને સમય અનુસાર તથા વાચકોના પ્રતિભાવના આધારે વાર્તાને આગળ વધારવાનું કામ કર્યું. ‘વેવિશાળ’ લખાતી હતી એ દરમ્યાન ચાલુ નવલકથામાં પણ તેમણે વાચકોની ઇચ્છા મુજબ પાત્રોના સ્વભાવ અને વર્તાવમાં પણ ફેરફાર કર્યા હતા. ‘વેવિશાળ’માં મેઘાણીએ આવનારા સમયમાં સમાજમાં કેવાં-કેવાં પરિવર્તન આવી શકે છે એનો ડર પણ વ્યક્ત કર્યો હતો તો સાથોસાથ સંસ્કાર પણ કેવા મહત્ત્વના બનશે એ દર્શાવવાની કોશિશ કરી હતી.
અકલ્પનીય સફળતા
ઝવેરચંદ મેઘાણીની આ પૉપ્યુલર નવલકથાની અત્યાર સુધીમાં ત્રીસથી વધુ આવૃત્તિ થઈ ચૂકી છે તો બે લાખથી વધારે નકલો વેચાઈ છે. હજી હમણાં જ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા દેશની શ્રેષ્ઠ દસ સ્વદેશી કૃતિમાં એનો સમાવેશ થયો, જેને લીધે આ નવલકથા રશિયન અને ચાઇનીઝ ભાષામાં રૂપાંતર થઈ. અગાઉ ઝવેરચંદ મેઘાણીના જ દીકરા અશોક મેઘાણીએ આ નવલકથાનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું હતું, જેના પરથી રશિયન અને ચીનની મેન્ડેરિનમાં ટ્રાન્સલેટ કરવામાં આવી.
સ્ટોરી શૉર્ટ કટ
‘વેવિશાળ’ વાર્તા એક એવા પરિવારની આસપાસ ઘુમરાય છે જે સિદ્ધાંત, નિષ્ઠા, પ્રામાણિ ાકતા અને આદર્શના મૂલ્ય પર આખું જીવન જીવી રહ્યો છે તો એક એવો પરિવાર પણ એમાં છે જે શ્રીમંતાઈથી છકીને સિદ્ધાંત, નિષ્ઠા, પ્રામાણિછકતાને નેવે મૂકવા તૈયાર થઈ જાય છે. એવા સંબંધોની વાત છે જે હજી જોડાયા નથી એમ છતાં એકબીજાને પામવાના અથાગ પ્રયાસો કરવામાં આવે છે. બે મિત્રો સોમચંદ અને દીપચંદ એક જ બિઝનેસમાં છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. શ્રીમંતાઈ જીવનમાં નથી અને એટલે જ સોમચંદને એવા ધનવાન બનવું છે કે જગત આખું સામે જોતું રહે. એક સંન્યાસી સોમચંદને મુંબઈ સ્થાયી થવાની સલાહ આપે છે અને દીપચંદ તમામ મદદ કરવા રાજી છે. ગામ અને ભાઈબંધ છોડવાનો સમય નજીક આવે છે એમ-એમ સોમચંદનો પગ ભારે થતો જાય છે. એક તબક્કે તે ગામ છોડવાનું કૅન્સલ પણ કરી નાખે છે પણ દીપચંદ હિંમત આપે છે એટલે સોમચંદ તેની પાસેથી વચન લે છે કે આપણે મારી ભત્રીજી સુશીલા અને તારા દીકરા સુખરામના વેવિશાળ કરાવીએ.
આ વેવિશાળ હવે જીવન આખું સાથે રહેવાના છે અને બન્ને ભાઈબંધોના જીવનમાં આવનારા ઉતારચડાવમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાના છે.