Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આંખમાં આંસુ આવવાં એ પણ સંસ્કાર, પ્રિયતમની ચિંતા થવી એ પણ સંસ્કાર

આંખમાં આંસુ આવવાં એ પણ સંસ્કાર, પ્રિયતમની ચિંતા થવી એ પણ સંસ્કાર

Published : 25 February, 2026 01:06 PM | IST | Mumbai
Morari Bapu

પ્રેમમાં વિશ્વાસ હોય છે અને નિઃશ્વાસ પણ નીકળતા રહે છે. પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે અને બીજી બાજુ તે ક્યાંય દેખાતો ન હોવાની પીડામાં ફળફળતા નિઃશ્વાસ પણ નીકળે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


પ્રેમથી શું થાય?

પ્રેમથી પીડ-નીર પ્રાપ્ત થાય. આંખોમાં નીર ધસી આવે, એક પીડા છે, હૃદયમાં. હૃદયમાં પીડ, નયનમાં નીર છે. પીડ દુઃખ છે, દુઃખ અગ્નિ છે, તાપ છે અને તાપને ઠંડો જળ જ કરી શકે. આ જળ એટલે જ પ્રેમ. જેણે પ્રભુને સાચો પ્રેમ કર્યો તે દિલનો બીમાર થાય છે. અધ્યાત્મ દિલની બીમારી, તેનું દિલ સંસારીઓનું નથી રહેતું. શુદ્ધ, અશુદ્ધ લોહી ધમની, શિરાઓમાં જતું તો હશે, શારીરિક ઘટના ઘટતી હશે પણ જેણે પ્રેમ કર્યો તેનું દિલ બદલાઈ જાય છે. એની પૂરેપૂરી ભૂમિકા બદલાઈ જાય છે. એક પીડા, એક કસક લાગી જાય છે અને આંખોમાંથી અશ્રુ વહેતાં રહે છે.
પ્રેમથી પ્રાપ્ત થાય વિશ્વાસ-નિઃશ્વાસ.



પ્રેમમાં વિશ્વાસ હોય છે અને નિઃશ્વાસ પણ નીકળતા રહે છે. પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે અને બીજી બાજુ તે ક્યાંય દેખાતો ન હોવાની પીડામાં ફળફળતા નિઃશ્વાસ પણ નીકળે છે. આવી અવસ્થા આવે એટલે માણસને ચેન નહીં પડે. સામર્થ્ય હોવા છતાં દીનતા આવે. ઈશ્વર નજરે ન ચડે એટલે દુઃખ થાય પણ વિશ્વાસ તો પાકો છે કે પ્રેમ કરવા યોગ્ય તું જ છે, જ્યાં બુદ્ધિ અને તર્ક એક બાજુએ રહી જાય છે. તું કચડી નાખે, મારી નાખે પણ અમે તારા છીએ. એક વિશ્વાસ છે, મારો પ્રિયતમ મારા માટે જે નક્કી કરે એ મને મંજૂર છે.
પ્રેમથી અભિલાષા પ્રાપ્ત થાય.


મળો, દર્શન કરો, વાતચીત કરો. શ્રી વલ્લભાચાર્યના શબ્દોમાં મનોરથ કહી દો. એક ઉત્કટ ઇચ્છા કે દર્શન કરીએ, મળીએ, સાંભળીએ, વાત કરીએ. આ અભિલાષા પ્રેમની પહેલી સ્થિતિ છે. હરપળ પ્રિયપાત્રને મળવાની, તેનાં દર્શન કરવાની ઇચ્છા થાય. આ ઇચ્છા કદી સમાપ્ત પણ ન થાય. બહુ ઊંચી કક્ષાની આ તલપ છે. એક વખત ઈશ્વર સાથે આવું અનુસંધાન થઈ ગયું તો સમજો બેડો પાર!

ક્યારેય ભૂલતા નહીં, મોહથી વિકાર ઉત્પન્ન થાય છે, પ્રેમથી સંસ્કાર ઉત્પન્ન થાય છે અને આ બધા સંસ્કારો જ છે. આંખમાં આંસુ આવવાં એ પણ સંસ્કાર છે અને પ્રિયતમની ચિંતા થવી એ પણ સંસ્કાર છે. પ્રેમ વિશ્વાસ આપે એ પણ સંસ્કાર છે અને નિઃશ્વાસ બનાવે એ પણ સંસ્કાર જ છે. પ્રેમ સંસ્કાર સિવાય કંઈ ન આપે અને મોહ વિકાર સિવાય કશું ન આપે માટે મોહમાં નહીં રહેતાં પ્રેમ કરજો. પ્રેમ જ તમને તારશે અને પ્રેમ જ તમારો બેડો પાર કરશે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 01:06 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK