કિરીટ સોમૈયાએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, મુંબઈનાં રેલવે-સ્ટેશનોની આસપાસનો પરિસર ફેરિયામુક્ત થવો જોઈએ
ગઈ કાલે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનની બહાર બંગલાદેશી નાગરિકનું આધાર કાર્ડ દેખાડતા કિરીટ સોમૈયા (તસવીરો : આશિષ રાજે)
મુંબઈમાં અનેક બંગલાદેશી લોકો ગેરકાયદે રહે છે અને ફેરી કરે છે એ સામે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં એક નિવેદન આપ્યું હતું અને તેમની સામે કાર્યવાહી કરીને તેમને હાંકી કાઢવામાં આવે એવી રજૂઆત કરી હતી.
ત્યાર બાદ કિરીટ સોમૈયાએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈનાં રેલવે-સ્ટેશનોની આસપાસનો પરિસર ફેરિયામુક્ત થવો જોઈએ. એમાં પણ ડોંગરીના દાદા અને ભિવંડીના ભાઈએ પાર્ટનરશિપ કરીને ફેરીવાળાઓનો ધંધો પોતાના તાબામાં લઈને બંગલાદેશી ઘૂસણખોરોને મોટા પ્રમાણમાં આ ફેરીના ધંધામાં ઉતાર્યા છે. મહાનગરપાલિકા અને પોલીસની વચ્ચે આ સંદર્ભે ચર્ચા પણ થઈ છે. દાદરમાં અક્ષતા તેન્ડુલકર અને ધારાવીમાં અમારા પદાધિકારી મણિએ બહુ મહેનત લીધી છે. અમે ચાર ફેરિયાઓનાં આધાર કાર્ડ મેળવ્યાં છે. એ ચારેય બંગલાદેશી છે અને ચારેયની બર્થ-ડેટ ૧ જાન્યુઆરી જ લખાયેલી છે. મેં આ સંદર્ભે દિલ્હી આધાર કાર્ડ ઑથોરિટી સાથે પણ ચર્ચા કરી છે. હવે પોલીસ આ સંદર્ભે વધુ કાર્યવાહી કરશે.’

