`ધ મંક એન્ડ ધ વૉરિયર` આ દમનકારી માળખાને તોડીને પ્રેક્ષકોને ભારતના ક્વીઅર ઇતિહાસની એક કાલ્પનિક અને રોમાંચક સફર પર લઈ જાય છે. આ નાટક ચંદ્રવતી-માલવતી અને શમ્સ-રૂમી જેવી લોકકથાઓને પુનઃજીવિત કરે છે અને એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે
એક રાજા અને સાધુ વચ્ચેની વાતચીત અને સજાતીય પ્રેમ કથા રજૂ કરતું નાટક એપ્રિલમાં મંચસ્થ થશે
ભારતીય નાટ્યકાર મહેશ દત્તાણી અને દિગ્દર્શક જોનાથન તાઈકીના ટેલર (ધ સુપરજીઓગ્રાફિક્સ), NCPA ના સહયોગથી એક અનોખું ક્વીઅર (queer) નાટક `ધ મંક એન્ડ ધ વૉરિયર` (The Monk & The Warrior)રજૂ કરી રહ્યા છે. આ નાટક સિકંદર અને એક બોધિસત્વ (બૌદ્ધ) સાધુ વચ્ચેની ઐતિહાસિક મુલાકાતથી શરૂ થાય છે, જે આગળ જતાં સંસ્કૃતિ, અવકાશ અને સમયની સીમાઓ ઓળંગતી એક પ્રેમકથામાં ફેરવાય છે, જે 5 એપ્રિલ, 2026ના રોજ NCPA ખાતે યોજાશે.
વર્તમાન રાજકારણ ઘણીવાર ઇતિહાસ અને પૌરાણિક કથાઓને સંકુચિત દ્રષ્ટિકોણથી રજૂ કરે છે, જેમાં એવી ઓળખ અને ઈચ્છાઓને નજરઅંદાજ કરવામાં આવે છે જે તેમના એજન્ડામાં ફિટ નથી બેસતી. `ધ મંક એન્ડ ધ વૉરિયર` આ દમનકારી માળખાને તોડીને પ્રેક્ષકોને ભારતના ક્વીઅર ઇતિહાસની એક કાલ્પનિક અને રોમાંચક સફર પર લઈ જાય છે. આ નાટક ચંદ્રવતી-માલવતી અને શમ્સ-રૂમી જેવી લોકકથાઓને પુનઃજીવિત કરે છે અને એક ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે: `ક્વીઅર હોવું` એ કોઈ વિદેશી વિચાર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિનો જ એક અભિન્ન અને પરંપરાગત ભાગ છે.
ADVERTISEMENT
નાટક વિશે
આ નાટક સિકંદર અને બોધિસત્વ વચ્ચેની મુલાકાતની એક સાહસિક ગાથા છે. એક તરફ જગત જીતવાની ઘેલછા છે, તો બીજી તરફ સર્વસ્વ ત્યાગવાની ઈચ્છા. આ જિજ્ઞાસા અને કામના, મહત્વાકાંક્ષા અને આધ્યાત્મિકતા વચ્ચેનો સંઘર્ષ છે, જે એક ખીલતા સંબંધનું સ્વપ્ન રજૂ કરે છે.
બ્રુકલિન સ્થિત પ્રતિભાશાળી કલાકાર જોનાથન તાઈકીના ટેલર દ્વારા આ નાટકનું દિગ્દર્શન અને પરિકલ્પના કરવામાં આવી છે. તેઓ અમેરિકા, સ્વીડન, પેરુ, ચીલી અને ભારત જેવા દેશોમાં `ધ સુપરજીઓગ્રાફિક્સ`ના કાર્યો માટે જાણીતા છે. તેઓ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રખ્યાત ભારતીય નાટ્યકાર મહેશ દત્તાણી સાથે મળીને કામ કરી રહ્યા છે. આ નાટક દ્વારા વિવિધ સંસ્કૃતિઓ એકાકાર થઈને હાંસિયામાં ધકેલાયેલા લોકોના અવાજો અને વાર્તાઓ ને મંચ પૂરું પાડે છે.
સર્જકો શું કહે છે?
આ મહાગાથા વિશે વાત કરતા દિગ્દર્શક જોનાથન તાઈકીના ટેલર જણાવે છે કે, "ધ મંક એન્ડ ધ વૉરિયર એ વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે મળવાની અને પ્રેમ કરવાની અશક્યતા વિશે છે. માત્ર દેશોની સંસ્કૃતિ જ નહીં, પણ જાતિ, માન્યતા, ઈચ્છા અને સહિયારા અનુભવોની સંસ્કૃતિ પણ. આ મારી પોતાની સંસ્કૃતિથી સાવ અલગ એવી સંસ્કૃતિ સાથેના સાત વર્ષના સંશોધન અને સંવાદનું પરિણામ છે. આજના અત્યંત ધ્રુવીકરણના યુગમાં, કલાકારોએ મતભેદોની ખાઈ ઓળંગીને નવા માર્ગો કલ્પવાની જરૂર છે. આ પ્રક્રિયા પડકારજનક હોવાની સાથે ખૂબ જ આનંદદાયક રહી છે."
મહેશ દત્તાણીએ ઉમેર્યું કે, "આ નાટકમાં મારે આધ્યાત્મિક આત્મ-સાક્ષાત્કારની શોધ અને સામ્રાજ્યવાદની ક્રૂર વાસ્તવિકતા વચ્ચેના સંઘર્ષને તપાસવો હતો. ઇતિહાસ ઘણીવાર વિજેતાઓનું મહિમાગાન કરે છે, પણ આ નાટક સિકંદરને એક નાયક તરીકે નહીં, પણ માનવ આત્માઓના હત્યારા તરીકે રજૂ કરીને એ ભ્રમ તોડે છે. હિંસાની આ પૃષ્ઠભૂમિ વચ્ચે, નાટક ક્રાંતિકારી અહિંસા અને ક્વીઅર પ્રેમની અંગત ગાથા વણે છે. મારું હંમેશા માનવું રહ્યું છે કે આપણી ઘણી પરંપરાગત વાર્તાઓમાં ક્વીઅર તત્વો રહેલા છે. અંતે, આ સાધુની સફર સંપૂર્ણ આત્મ-કરુણા તરફનો સંઘર્ષ છે, જે પ્રેક્ષકોને એક મુશ્કેલ પ્રશ્ન પૂછે છે: પ્રેમ અને અહિંસાની શાંત શક્તિ યુદ્ધના ક્રૂર મશીનોને નિઃશસ્ત્ર કરી શકે?"

ભારતથી માંડીને ચીલી અને ઓસ્ટ્રેલિયા સુધી, આ પ્રોડક્શનમાં વિશ્વભરના કલાકારો સામેલ છે, જેમાં સચિન રવિન્દ્રન, પ્રેથોરા, કેટલિન જ્યોર્જ, મંજરી કે., જુઆન ડિએગો બોનિલા અને હર્ષ થરાદનો સમાવેશ થાય છે. ફિનિશ સંગીતકાર ઈરો હેમેનીએમીએ નાટકનું સંગીત તૈયાર કર્યું છે. આ ઉપરાંત, ચિલિયન વાદક ટોમસ કેરાસ્કો ગુબર્નાટીસ અને ભારતીય સંગીતકાર પ્રસૂન ભાર્ગવ જીવંત સંગીત રજૂ કરશે.
`ધ મંક એન્ડ ધ વોરિયર` એ વિવિધ સંસ્કૃતિઓ, નૃત્ય અને સંગીતનો ઉત્સવ છે. આ નાટકની ટિકિટો BookMyShow પર ઉપલબ્ધ છે.
