Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મહાપુરુષોના જીવનમાં જોવા મળતા સદ્ગુણોમાં એક સદ્ગુણ એટલે કરકસર

મહાપુરુષોના જીવનમાં જોવા મળતા સદ્ગુણોમાં એક સદ્ગુણ એટલે કરકસર

Published : 02 June, 2025 02:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાંધીજીએ તેમના ચિરપરિચિત સ્મિત સાથે જવાબ આપ્યો, ‘ભલે એ કોલસા સરકારી હોય, પણ આખરે તો ભારત દેશની સંપત્તિ છેને! એને ગમેતેમ વેડફાય નહીં.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


વાત છે ૧૯૩૨ની, એ સમયે દેશ આઝાદ નહોતો અને આઝાદીની ચળવળમાં ગાંધીજી કેન્દ્રબિંદુ બની ગયા હતા.


જે પિરિયડની વાત છે એ પિરિયડમાં ગાંધીજી યેરવડાની જેલમાં હતા. ગાંધીજીની સાથે બીજા પણ અનેક લોકોની ધરપકડ થઈ હતી. તમને યાદ ન હોય તો યાદ કરાવી દઉં કે એ સમયે એવું હતું કે મહાત્મા ગાંધીને મદદરૂપ બનવા માટે તેમના સેવકો સામેથી ધરપકડ વહોરી લેતા.



જેલમાં ઘણા લોકો ગાંધીજીને મળવા આવતા. એક વખત પરીક્ષિતલાલ મજમુદાર મહાત્મા ગાંધીને મળવા આવ્યા. ત્યારે ગાંધીજીના સેવકે સગડી પર પાણી ગરમ કરવા મૂક્યું હતું. પાણી ગરમ થયા પછી આ સેવક કોલસા હોલવવાનું ભૂલી ગયા. ગાંધીજીએ તેમને બોલાવી તરત જ કોલસા હોલવી નાખવા જણાવ્યું. એક અંગ્રેજને આ જોઈ-સાંભળીને નવાઈ લાગી. એ અંગ્રેજી ગાંધજી પાસે આવ્યો અને તેણે ગાંધીજીને કહ્યું, ‘આ તો સરકારના કોલસા છે, એ બળતા રહે તો એમાં તમને શો વાંધો?’


ગાંધીજીએ તેમના ચિરપરિચિત સ્મિત સાથે જવાબ આપ્યો, ‘ભલે એ કોલસા સરકારી હોય, પણ આખરે તો ભારત દેશની સંપત્તિ છેને! એને ગમેતેમ વેડફાય નહીં.’

હા, મહાપુરુષોના જીવનમાં જોવા મળતા અનેક સદ્ગુણોમાંનો એક સદ્ગુણ એટલે કરકસર. નાનામાં નાની ચીજની બચત. તમને ખબર ન હોય તો જણાવું કે ગાંધીજી પોતે પેન્સિલનો ઉપયોગ કરતા અને સાથે રબર રાખતા. શક્ય હોય ત્યાં સુધી તે કાગળ પર પેન્સિલથી જ લખે અને પછી કામ પૂરું થઈ જાય એટલે એને ભૂંસી નાખી ફરીથી કાગળ વપરાશમાં લઈ લે. એવું નહોતું કે એ સમયે ઇન્કપેન નહોતી. ખીતો હતો અને એની સાથે ઇન્ક રહેતી, પણ બાપુ એ વાપરવાનું ભાગ્યે જ પસંદ કરતા. આશ્રમમાં તો તે પેન્સ‌િલનો ઉપયોગ પણ ટાળતા અને પાટી-પેનમાં લખતા જેથી પાટી ભૂંસી શકાય.


સામાન્ય રીતે ઘણુંબધું પામ્યા પછી કે ઊંચાઈ પર પહોંચ્યા પછી નાની-નાની વસ્તુઓના બગાડની દરકાર રહેતી નથી, પણ જે માણસ મોટપ મેળવ્યા પછી પણ નાની-નાની વસ્તુઓની કરકસર કરી શકે છે એ જ ખરા અર્થમાં મહાન બની શકે છે.

ગુજરાતીમાં કહેવાયું છે કે ‘ટીપે ટીપે સરોવર ભરાય...’ જેવી રીતે ટીપે-ટીપે સરોવર ભરાય, એવી જ રીતે ટીપે-ટીપે સરોવર ખાલી પણ થાય. જેવી રીતે થોડું-થોડું કરતાં બચત થઈ શકે, એવી જ રીતે થોડું-થોડું કરતાં પૈસો વેડફાઈ પણ જાય. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે ‘A penny saved is a penny earned!’

પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2025 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK