Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > Heath Funda: `વિસેલર ફેટ` શું છે? આંખે નથી દેખાતું પણ છે અનેક બીમારીનું મૂળ

Heath Funda: `વિસેલર ફેટ` શું છે? આંખે નથી દેખાતું પણ છે અનેક બીમારીનું મૂળ

Published : 23 May, 2026 02:34 PM | IST | Mumbai
Dr. Rishita Bochia Joshi | healthnfoodvilla@gmail.com

Health Funda: આપણા શરીરમાં રહેલી ચરબીના મુખ્ય ત્રણ પ્રકાર છે, અને તેમાંથી એક પ્રકાર એવો છે જે બહારથી દેખાતો નથી, પણ અંદર રહીને આપણા સ્વાસ્થ્યને ખોખલું કરે છે; તે છે વિસેરલ ફેટ – ચાલો તેના વિશે ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી જાણીએ વધુ

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા


સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, શરીરની ચરબીને સમજીએ - શા માટે બધી જ ચરબી એકસરખી નથી હોતી અને શા માટે `વિસેરલ ફેટ` (Visceral Fat) સૌથી વધુ મહત્વ ધરાવે છે.



વર્ષોથી આપણા સ્વાસ્થ્યની ચર્ચા માત્ર એક જ આંકડાની આસપાસ ફરતી રહી છે, અને તે છે વજન કાંટો. તેના પર ઊભા રહીને આંકડો વધારે જુઓ એટલે તરત જ આપણે એવું માની લઈએ છીએ કે, ‘મારે ચરબી ઘટાડવાની જરૂર છે.’ પરંતુ આ બધામાં એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન હંમેશા છૂટી જાય છે કે આપણે ખરેખર કયા પ્રકારની ચરબીની વાત કરી રહ્યા છીએ!


કારણ કે જ્યારે માનવ શરીરની વાત આવે છે, ત્યારે દરેક પ્રકારની ચરબી એકસરખી નથી હોતી. આપણું શરીર માત્ર એક સરખી ચરબીનો જથ્થો નથી, પરંતુ તેના જુદા-જુદા પ્રકાર છે અને સ્વાસ્થ્ય પર તેની અસરો પણ તદ્દન અલગ હોય છે.

શરીરની ચરબીના ત્રણ પ્રકાર


સામાન્ય રીતે, આપણા શરીરની ચરબીને ત્રણ પ્રકારમાં સમજી શકાય છે.

૧. સબક્યુટેનિયસ ફેટ

પહેલો પ્રકાર છે સબક્યુટેનિયસ ફેટ (ત્વચાની નીચેની ચરબી). આ એ ચરબી છે જે બરાબર આપણી ત્વચાની નીચે હોય છે. તમારા હાથ, સાથળ કે કમરની આજુબાજુ જેને તમે ચપટીમાં પકડી શકો છો, તે આ જ ચરબી છે. જો કે આ ચરબીનું અતિશય પ્રમાણ પણ સારું નથી ગણાતું, છતાં તે શરીર માટે પ્રમાણમાં ઓછી નુકસાનકારક છે. વાસ્તવમાં, તે શરીરમાં ઉર્જાનો સંગ્રહ કરીને અને શરીરના તાપમાનને જાળવી રાખીને એક પ્રકારે રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે.

૨. ઇન્ટ્રામસ્ક્યુલર ફેટ

બીજો પ્રકાર ઇન્ટ્રામસ્ક્યુલર ફેટ છે, જે સ્નાયુઓના ટીશ્યુ એટલે કે તંતુઓની અંદર જોવા મળે છે. ખૂબ જ ઓછી માત્રામાં રહેલી આ ચરબી વાસ્તવમાં સ્નાયુઓની કાર્યપ્રણાલી અને ચયાપચય (મેટાબોલિઝમ)ની પ્રક્રિયાને સક્રિય રાખવામાં મદદ કરે છે.

૩. વિસેરલ ફેટ

ત્રીજો પ્રકાર—જેને વિસેરલ ફેટ કહેવાય છે, તે જ આપણી ખરી ચિંતાનું મુખ્ય કારણ છે.

વિસેરલ ફેટ શું છે?

વિસેરલ ફેટ પેટની ખૂબ જ ઊંડાણમાં જમા થાય છે, જે આપણા લીવર (યકૃત), પેનક્રિયાસ (સ્વાદુપિંડ) અને આંતરડા જેવા અત્યંત મહત્વના અંગોને ચારેય તરફથી ઘેરી લે છે.

તમે જેને નરી આંખે જોઈ શકો છો કે અડી શકો છો તેવી સામાન્ય ચરબી કરતાં અલગ, આ વિસેરલ ફેટ શરીરની અંદર સંપૂર્ણપણે છુપાયેલી હોય છે. અને બરાબર આ જ બાબત તેને સૌથી વધુ ખતરનાક અને ચિંતાજનક બનાવે છે.

આ ચરબી `મેટાબોલિકલી એક્ટિવ` હોય છે, જેનો અર્થ એ છે કે તે શરીરમાં માત્ર નિષ્ક્રિય થઈને પડી નથી રહેતી. તે સતત એવા સોજા કે બળતરા પેદા કરનારા તત્વો (ઇન્ફ્લેમેટરી સબસ્ટન્સ) અને હોર્મોન્સ મુક્ત કરે છે જે શરીરની સામાન્ય અને કુદરતી કાર્યપ્રણાલીમાં અવરોધ ઊભો કરી શકે છે.

સમય જતાં, શરીરમાં વિસેરલ ફેટનું ઊંચું પ્રમાણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ટાઇપ ૨ ડાયાબિટીસ, હૃદયરોગ અને હોર્મોનલ અસંતુલન જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું સીધું કારણ બને છે.

શરીરમાં વિસેરલ ફેટનું પ્રમાણ વધારે હોય તો તમારું વજન વધારે દેખાય તે જરૂરી નથી. ઘણી વ્યક્તિઓ, ખાસ કરીને બેઠાડુ જીવનશૈલી ધરાવતા લોકો, અને જેઓનું શરીર દુર્બળ છે તેઓ પણ "બહારથી પાતળા, અંદરથી અસ્વસ્થ"ની શ્રેણીમાં આવી શકે છે.

આ આંતરિક ચરબીને ઓળખવાનો સૌથી સરળ સંકેત છે - વધતી જતી કમર. પેટની આજુબાજુ જમા થતી વધારાની ચરબી, ખાસ કરીને જ્યારે પેટ કડક અને બહાર ઉપસેલું દેખાય, ત્યારે તે અંદર વિસેરલ ફેટ હોવાની સ્પષ્ટ નિશાની છે.

આ સિવાય, સતત થાક લાગવો, વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થવી અને તમામ પ્રયત્નો છતાં પણ વજન ઘટાડવામાં મુશ્કેલી પડવી, આ બધું જ શરીરની અંદર છુપાયેલી મેટાબોલિક સમસ્યાઓ તરફ ઈશારો કરે છે.

રાહતની વાત એ છે કે, શરીરના બીજા ભાગોની ચરબી કરતાં આ વિસેરલ ફેટ આપણી જીવનશૈલીમાં થતા હકારાત્મક બદલાવો પ્રત્યે સૌથી ઝડપથી પ્રતિક્રિયા આપે છે, એટલે કે તેને સરળતાથી ઓગાળી શકાય છે.

તેનાથી છુટકારો મેળવવા માટે કોઈ આકરી ડાયેટિંગ કે શોર્ટકટ્સની જરૂર નથી, પરંતુ રોજિંદી નિયમિત અને સમજદારીભરી આદતો જ પૂરતી છે.

વિસેરલ ફેટ ઘટાડવા કરો આટલું જઃ

સૌથી પહેલાં આપણા ભોજનમાં સંતુલન લાવીએ, જેમાં સારી ગુણવત્તાવાળું પ્રોટીન, ફાઈબરથી ભરપૂર લીલા શાકભાજી, આખા અનાજ અને મર્યાદિત માત્રામાં ગુણકારી ફેટ્સ (Healthy Fats) સામેલ હોય. આપણી પરંપરાગત ભારતીય રસોઈને જો ઓછા તેલ અને કુદરતી મસાલાઓ સાથે બનાવવામાં આવે, તો તે આ સંતુલનને એકદમ સહજતાથી ટેકો આપે છે.

આહાર જેટલી જ મહત્વની બાબત છે શરીરની હલનચલન. રોજિંદી શારીરિક સક્રિયતા—ખાસ કરીને નિયમિત ચાલવું અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું મિશ્રણ—આ વિસેરલ ફેટને ખૂબ જ અસરકારક રીતે ઘટાડે છે. લિફ્ટના બદલે સીડીઓ ચડવી, લાંબો સમય બેસી રહેવાને બદલે ઊભા થવું કે ઘરના નાના-મોટા કામો જાતે કરવા જેવી સાદી આદતો પણ આમાં ઘણું મોટું યોગદાન આપે છે.

આ બધાની વચ્ચે, પૂરતી ઊંઘ અને તણાવ મુક્ત જીવન એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ બહુ મોટો ભાગ ભજવે છે, જેના તરફ આપણું ધ્યાન અવારનવાર જતું જ નથી.

આખરે, આપણો હેતુ માત્ર `વજન ઘટાડવાનો` ન હોવો જોઈએ, પરંતુ શરીરના બંધારણને સુધારવાનો (Body Composition) અને મેટાબોલિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો હોવો જોઈએ.

કારણ કે સૌથી ખતરનાક ચરબી હંમેશા એ નથી હોતી જેને આપણે અરીસામાં જોઈ શકીએ છીએ - પણ એ હોય છે જે અંદર રહીને આપણા મહત્વના અંગોને ધીમે-ધીમે નુકસાન પહોંચાડે છે.

બસ, આ નાનકડા તફાવતને સમજી લેવો એ જ સાચા અર્થમાં તંદુરસ્ત જીવન તરફનું આપણું પહેલું અને મક્કમ પગલું હોઈ શકે છે.

 

(શબ્દાંકનઃ રચના જોષી)

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 02:34 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK