Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વરસાદમાં વારંવાર પલળવાનું થતું હોય તો લેપ્ટોસ્પાઇરોસિસ ન થાય એનું ધ્યાન ખાસ રાખજો

વરસાદમાં વારંવાર પલળવાનું થતું હોય તો લેપ્ટોસ્પાઇરોસિસ ન થાય એનું ધ્યાન ખાસ રાખજો

Published : 06 August, 2026 04:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોમાસામાં ઉંદરના યુરિનથી ફેલાતો લેપ્ટોસ્પાઇરોસિસ જીવલેણ બની શકે છે. તેના લક્ષણો સામાન્ય ફ્લુ જેવા હોય છે, પરંતુ સમયસર તપાસ અને સારવાર ન મળે તો લિવર-કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વરસાદ શરૂ થયો નથી કે મુંબઈ પર રોગનું રિસ્ક વધ્યું નથી. મુંબઈમાં અસંખ્ય લોકોની સાથે અસંખ્ય ઉંદરો પણ વસે છે અને આ ઉંદરો બીજી કોઈ રીતે આપણને નડે કે ન નડે, વરસાદમાં ખૂબ નડે છે કારણ કે એમને કારણે મુંબઈમાં લેપ્ટોસ્પાઇરોસિસનું પ્રમાણ રહે છે. આ એક જીવલેણ રોગ છે જે ઉંદરોને કારણે ફેલાય છે. લેપ્ટોસ્પાઇરા નામના બૅક્ટેરિયાથી ફેલાતો આ રોગ પ્રાણીઓ દ્વારા મનુષ્યના શરીરમાં ફેલાય છે. જે પ્રાણીને લેપ્ટોસ્પાઇરા બૅક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગી ગયું હોય એને ખુદ પર કોઈ અસર થતી નથી, પરંતુ એના યુરિનમાં આ બૅક્ટેરિયા પાસ થતો હોય છે. હવે આ યુરિન કોઈ પણ રીતે જો વ્યક્તિના ખુલ્લા ઘા પર લાગી જાય અને લોહીના સંપર્કમાં સીધું આવે ત્યારે તો માણસને લેપ્ટોસ્પાઇરોસિસ થવાની પૂરી શક્યતા છે.
આ રોગનાં લક્ષણો મોટા ભાગે નૉર્મલ ફ્લુ જેવાં લક્ષણો હોય છે. આ રોગમાં શરૂઆતના ત્રણ-ચાર દિવસ સામાન્ય રીતે માથું દુઃખે, થોડીક ઠંડી લાગે, તાવ આવે, શરીરમાં કળતર થાય, ઊલટી થાય, પેટમાં દુઃખે, આંખો લાલ થઈ જાય, ઝાડા થઈ જાય. વળી ત્રણ-ચાર દિવસમાં એવું લાગે છે કે દરદીને સારું થઈ ગયું, પરંતુ હકીકત એ છે કે બે-ત્રણ દિવસ બાદ આ રોગ ફરી ઊથલો મારે છે જેમાં દરદીનું લિવર કે કિડની ફેઇલ થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. દરદીને લેપ્ટોસ્પાઇરોસિસ છે કે નહીં એ ફક્ત તેની બ્લડ-ટેસ્ટ પરથી જ જાણી શકાય. બધા જ ફ્લુના દરદીઓને ડૉક્ટર લેપ્ટોસ્પાઇરોસિસની બ્લડ-ટેસ્ટ કરાવડાવે એ શક્ય નથી. સિવાય કે આ રોગનો વાયરો હોય તો એવું કરી શકાય. આમ જો નૉર્મલ ફ્લુની દવાઓ બે દિવસ લેવાથી પણ લાગે કે લક્ષણો કાબૂમાં નથી તો ડૉક્ટર આ ટેસ્ટ કરાવડાવતા હોય છે. આ એક સામાન્ય બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે ઍન્ટિ-બાયોટિક દવાઓથી ઠીક થઈ શકે છે. જોકે એ રોગ જો ડિટેક્ટ ન થઈ શકે અથવા તો ન પકડી શકાય અને ચાર-પાંચ દિવસ નીકળી જાય તો પછી એના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જાય છે.
એવું જરૂરી નહીં કે આ રોગ થયો એટલે તમારું મૃત્યુ નિશ્ચિત છે. દર વર્ષે ઘણા લોકોને આ રોગ થાય છે, પરંતુ સમયસર ઇલાજ થઈ જવાથી તેમના રોગ પર કાબૂ લેવાનું સરળ બન્યું હોય છે જેને લીધે તે બચી જાય છે. જોકે એક વખત આ રોગ થોડો વધુ ફેલાયો તો એને કાબૂમાં કરવો મુશ્કેલ બને છે અને એ ઘાતક પુરવાર થાય છે. આમ જો તમને થોડી પણ શંકા હોય તો ડૉક્ટર પાસે જઈને પોતાની શંકા વિશે વાત કરવી અને તેમની સલાહ મુજબ તરત દવા લઈ જ લેવી.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK