ભારતમાં જીતવા ઑસ્ટ્રેલિયા તૈયાર કરી રહ્યું છે રણનીતિ, પ્રૅક્ટિસ-મૅચ નહીં રમે, ૨૧ વર્ષથી તેઓ ભારતમાં ટેસ્ટ-સિરીઝમાં વિજય નથી મેળવી શક્યા
ઍૅન્ડ્રયુ મૅક્ડોનાલ્ડ
ઑસ્ટ્રેલિયા આવતા વર્ષે જાન્યુઆરીમાં પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ રમવા ભારત આવવાનું છે. ઑસ્ટ્રેલિયા છેલ્લે ૨૦૦૫માં ભારતમાં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું. આથી તેઓ આ વખતે છેલ્લાં ૨૧ વર્ષના દુકાળનો અંત લાવવા ખૂબ જ ઉત્સુક છે અને ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યા છે. તેઓ સિરીઝ પહેલાં વૉર્મ-અપ કે પ્રૅક્ટિસ-મૅચ રમવાને બદલે ભારત જેવી પરિસ્થિતિ ધરાવતા સ્થળે શૉર્ટ ટ્રૅઇનિંગ કૅમ્પ યોજશે.
ઑસ્ટ્રેલિયાના હેડ કોચ ઍૅન્ડ્રયુ મૅક્ડોનાલ્ડે એક વેબસાઇટને આપેલા ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમને લાગે છે કે પરિસ્થિતિને અનુરૂપ થવા અમારી પાસે પૂરતો સમય મળવાનો છે તેમ છતાં અમે કોઈ પ્રૅક્ટિસ-મૅચ નહીં યોજીએ. અમારું પૂરું ધ્યાન એવી જગ્યાએ તૈયારી કરવાનું રહેશે જ્યાં ભારત જેવી જ પરિસ્થિતિ હોય. અમારી સામે અમુક વિકલ્પ છે. અમે એ વિશે વિચારણા કરી રહ્યા છીએ. અમે જોઈશું કે કયો વિકલ્પ ખેલાડીઓને વધુ અનુકૂળ રહેશે.’ ઑસ્ટ્રેલિયાએ આ પહેલાં ભારતની ટૂરની તૈયારી માટે UAEમાં જઈને તૈયારી કરી હતી અને ૨૦૨૩માં બૅન્ગલોરમાં જ કૅમ્પ યોજ્યો હતો.’ મૅક્ડોનલ્ડે વધુમાં જણાવ્યું હતું કે ભારતની ટૂર માટે શૉર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાંથી જેઓ ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણે રમાનારી સિરીઝમાં સામેલ નહીં હોય તેમને બિગ બૅશ લીગમાં રમવાને બદલે ભારતની તૈયારીમાં ધ્યાન આપવાનું કહેવામાં આવશે.
