ડાબા પડખે સૂવું, પીઠના બળે સીધા સૂવું, પેટના બળે ઊંધા સૂવું જેવી સૂવાની ત્રણેય રીત કઈ રીતે તમારા સ્વાસ્થ્યને કેટલી પ્રભાવિત કરે છે એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
આપણે આપણા જીવનનો ત્રીજો ભાગ ઊંઘવામાં વિતાવીએ છીએ તેથી આપણે કઈ સ્થિતિમાં સૂઈએ છીએ એની સીધી અસર આપણી કરોડરજ્જુ, શ્વાસ અને ઊંઘની ગુણવત્તા પર પડે છે. નિષ્ણાતોના મતે ઊંઘવાની દરેક રીતના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. આજે જાણી લો કે કઈ સૂવાની રીતની હેલ્થ પર શું અસર પડે છે.
ડાબા પડખે સૂવું
ADVERTISEMENT
સૂવાની આ સૌથી સામાન્ય પદ્ધતિ છે. ગર્ભમાં નાનું બાળક જે અવસ્થામાં હોય એ રીતે સૂવાના ઘણા લાભ છે. જેમ કે આ સ્થિતિ શ્વાસનળીને ખુલ્લી રાખવામાં મદદ કરે છે જે નસકોરાં કે શ્વાસની તકલીફ ધરાવતા લોકો માટે ઉત્તમ છે. ડાબા પડખે સૂવાથી ઍસિડિટી અને પાચનની સમસ્યામાં રાહત મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ આ શ્રેષ્ઠ સ્થિતિ છે, કારણ કે એ પ્લેસેન્ટા સુધી લોહીનો પ્રવાહ જાળવી રાખે છે. જોકે તમે હાથને છાતી પાસે વધુપડતા વાળીને સૂતા હો તો એનાથી નસો પર દબાણ આવી શકે છે અને હાથમાં ખાલી ચડવાની સમસ્યા થઈ શકે છે.
જમણા પડખે સૂવું
ઘણા લોકોને જમણી બાજુએ સુવાનું વધુ અનુકૂળ આવતું હોય છે. જમણી બાજુએ સૂવાના પણ પોતાના લાભ અને ગેરલાભ છે. જેમ કે જમણી બાજુએ સૂવાથી હૃદય પરનું દબાણ ઘટે છે એટલે હૃદયની બીમારી ધરાવતા લોકો માટે આ સ્થિતિ રક્ત પરિભ્રમણમાં સુધારો કરી શકે છે. બીજું, આ સ્થિતિ ચેતાતંત્રની સક્રિયતા ઘટાડી શકે છે જેના પરિણામે બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા ઓછા થાય છે. અભ્યાસો મુજબ મગજના કચરાને સાફ કરવા માટે આ સૌથી અસરકારક સ્થિતિ છે. જોકે તમને ઍસિડ રિફ્લક્સની સમસ્યા હોય તો જમણા પડખે સૂવાથી ઍસિડિટી વકરી શકે છે અને છાતીમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.
પેટ પર ઊંધા સૂવું
આ સ્થિતિમાં માથું એક તરફ વળેલું અને હાથ ઓશીકાની આસપાસ હોય છે. આમ સૂવાથી નસકોરાંમાં થોડી રાહત મળી શકે છે. કરોડરજ્જુના સ્વાસ્થ્ય માટે આ સૌથી નુકસાનકારક સ્થિતિ છે. એ પીઠના કુદરતી આકારને બગાડે છે અને ગરદન પર વધુપડતી તાણ લાવે છે. આનાથી સ્નાયુઓ ખેંચાય છે અને લાંબા ગાળે પીઠ અને ઘૂંટણનો દુખાવો વધી શકે છે.
પીઠ પર ચત્તા સૂવું
દુનિયાના લગભગ આઠથી ૧૦ ટકા લોકો આ રીતે સૂવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં સૂવાથી કરોડરજ્જુ સીધી રેખામાં રહે છે, જે પીઠના દુખાવા અને જડતામાં રાહત આપે છે. આ ઉપરાંત ચહેરા પર કરચલીઓ પડવાનું જોખમ ઘટે છે કારણ કે ચહેરો ઓશીકા સાથે ઘસાતો નથી. સાયનસમાં આ પોઝિશન લાભકારી છે. જોકે નસકોરાં બોલાવતા લોકો માટે આ સૌથી ખરાબ સ્થિતિ છે. આમાં ગળાના સ્નાયુઓ રિલૅક્સ થઈને શ્વાસમાં અવરોધ ઊભો કરી શકે છે, જે બ્લડપ્રેશર અને હૃદયરોગનું જોખમ વધારી શકે છે.
યાદ રહે
- ગાદલું અને ઓશીકું તમારા શરીરને પૂરતો સપોર્ટ આપે એવાં હોવાં જોઈએ.
- સુતરાઉ અથવા વાંસના રેસામાંથી બનેલી ચાદરો વાપરો જેથી રાત્રે વધુ ગરમી ન લાગે.
- સૂતાં પહેલાં ૧૦ મિનિટ હળવું સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુઓનો તનાવ ઓછો થાય છે અને લોહીનું પરિભ્રમણ સુધરે છે.


