ઊંઘમાં બોલવું સામાન્ય રીતે ચિંતાનું કારણ નથી, પરંતુ ક્યારેક એ ઊંઘ સંબંધિત અન્ય સમસ્યાઓ સાથે જોડાયેલું હોઈ શકે છે. જાણો ઊંઘમાં બોલવાનાં કારણો અને કયા સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ
પ્રતીકાત્મક તસવીર
ઊંઘમાં બોલવું એ પૅરાસોમનિયાનો એક પ્રકાર છે. તબીબી ભાષામાં આ સ્થિતિને સોમનિલોકી કહેવામાં આવે છે. આ એક સામાન્ય સ્થિતિ છે જે મોટા ભાગના કિસ્સાઓમાં બિલકુલ હાનિરહિત હોય છે અને એના માટે કોઈ ખાસ સારવારની જરૂર પડતી નથી.
આ સ્થિતિમાં વ્યક્તિ ધીમા અવાજે બબડાટ કરી શકે છે, અસ્પષ્ટ શબ્દો બોલી શકે છે અથવા તો સ્પષ્ટ વાક્યોમાં પણ વાતચીત કરી શકે છે. ઘણી વાર તો એવું લાગે છે કે વ્યક્તિ ખરેખર જાગી રહી છે અથવા કોઈની સાથે વાત કરી રહી છે. જોકે મોટા ભાગે વ્યક્તિને સવારે ઊઠ્યા પછી રાત્રે પોતે શું બોલી હતી એનું સહેજ પણ ભાન હોતું નથી.
ઊંઘમાં માણસ આટલું સ્પષ્ટ કેવી રીતે બોલી શકે છે?
ADVERTISEMENT
શરીર જ્યારે ઊંઘમાં હોય છે ત્યારે મગજ સાવ બંધ થઈ જતું નથી. ઊંઘ દરમ્યાન પણ ભાષા અને વાણી સાથે જોડાયેલાં મગજનાં ચોક્કસ નેટવર્ક્સ થોડા સમય માટે સક્રિય થઈ શકે છે, ભલે વ્યક્તિ સંપૂર્ણપણે જાગૃત ન હોય. આ જ કારણ છે કે ઊંઘમાં બોલાયેલા શબ્દો ઘણી વાર આશ્ચર્યજનક રીતે સ્પષ્ટ અને વાસ્તવિક સંભળાય છે.
ઊંઘમાં બોલવાનું પ્રમાણ ક્યારે વધી શકે છે?
ઊંઘમાં બોલવું ઊંઘના અલગ-અલગ તબક્કામાં થઈ શકે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં એનું પ્રમાણ વધી શકે છે.
વધુ પડતો માનસિક તનાવ
ઊંઘ પૂરી ન થવી અથવા વારંવાર ઉજાગરા થવા
કોઈ શારીરિક બીમારી કે તાવ
ઊંઘ વારંવાર તૂટવી ડૉક્ટરની સલાહ ક્યારે લેવી જોઈએ?
ઊંઘમાં બોલવું મોટા ભાગે નુકસાનકારક નથી હોતું. એમ છતાં નીચે મુજબનાં લક્ષણો જોવા મળે ત્યારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઊંઘમાં બોલવાનું પ્રમાણ ખૂબ વધી જાય અથવા પરિવારજનોની ઊંઘમાં રોજ ખલેલ પહોંચતી હોય.
બોલવાની સાથે ચીસો પાડવી, ઊંઘમાં ચાલવું, હાથ-પગ પછાડવા કે હિંસક વર્તન કરવું.
સપનામાં જે થાય એ મુજબ વાસ્તવિક હલનચલન કરવું.
