Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ચહેરા પરની ચરબી માટે શું ઉપાય કરશો?

ચહેરા પરની ચરબી માટે શું ઉપાય કરશો?

Published : 04 June, 2025 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણાનો એકદમ પીળો પડી ગયો હોય એવો નિસ્તેજ ચહેરો થઈ જાય છે. મોઢા પર કાન્તિ કે તેજ હોતું નથી. આ બધા પ્રૉબ્લેમનું સોલ્યુશન યોગ પાસે છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


જ્યાં સુધી ચરબીનો પ્રશ્ન છે એ શરીરના જુદા-જુદા ભાગોમાં થર કરીને જામી જાય છે. ડાયટ અને એક્સરસાઇઝથી વજન ઊતરે છે એ વાત સાચી, જેમાં ડાયટથી આખા શરીરમાંથી ચરબી ઓગળે છે. પરંતુ જ્યારે એક્સરસાઇઝની વાત આવે છે ત્યારે એ વ્યક્તિગત રીતે નક્કી થાય છે. જેમ કે તમને પેટ પર ચરબી વધારે હોય તો પેટની એક્સરસાઇઝ વધુ કરવી જેથી ત્યાંના થર ઓગળે. પરંતુ ચહેરાની ચરબીનું શું? ઘણા લોકો જે વેઇટલૉસ કરે છે તેમને આ પ્રશ્ન નડે છે કે ૧૦ કિલો ઉતારવું સરળ છે પરંતુ આ ડબલ ચિન અને ગલગોટા જેવા ગાલનું શું કરવું એ તેમને સમજાતું નથી એટલું જ નહીં, ઘણાનો એકદમ પીળો પડી ગયો હોય એવો નિસ્તેજ ચહેરો થઈ જાય છે. મોઢા પર કાન્તિ કે તેજ હોતું નથી. આ બધા પ્રૉબ્લેમનું સોલ્યુશન યોગ પાસે છે.


આપણે શરીરનાં બીજાં અંગોની કસરત વિશે હંમેશાં વિચારીએ છીએ પરંતુ ચહેરાને ભૂલી જઈએ છીએ. હકીકત એ છે એ ચહેરામાં આવેલા સ્નાયુઓને પણ કસરતની જરૂર પડે છે. ખાસ કરીને જો ચહેરાનું તેજ વધારવું હોય, કાન્તિ લાવવી હોય, ઍક્ને કે વાળ ખરવા જેવા પ્રૉબ્લેમ્સને દૂર કરવા હોય, ચહેરા પરની બિનજરૂરી ચરબીને હટાવીને એનો શેપ સુધારવો હોય તો યોગ આપણને અત્યંત ઉપયોગી છે. અમુક ખાસ આસનો, મુદ્રાઓ, ક્રિયાઓ અને પ્રાણાયામ છે જેના વડે ઘણાં સારાં પરિણામો મેળવી શકાય છે. ચહેરાની હેલ્થ માટે અમુક વસ્તુઓ ખુબ જ મહત્ત્વની છે જેમ કે લોહીનું પરિભ્રમણ, સાફ પેટ, સારું પાચન, સ્ટ્રેસ વગરનું જીવન અને સાચું અને ખુશીથી ભરપૂર પોશ્ચર.



સૌથી જે મહત્ત્વનું છે એ છે લોહીનું પરિભ્રમણ. જો ચહેરા પર લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થતું હોય તો ચહેરાની હેલ્થ સારી રહે છે. શરીરમાં વહેતું લોહી ચહેરા પર પૂરી માત્રામાં આવે એ માટે હસ્તપાદાસન, અધોમુખ શવાસન, સર્વાંગાસન, કંધરાસન અને સૂર્ય નમસ્કાર અત્યંત ઉપયોગી છે. ચહેરાની જે મુખ્ય તકલીફો છે એ આ આસનોથી દૂર કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિએ આ આસનો નિષ્ણાત પાસેથી શીખીને પછી જ ઘરે પ્રૅક્ટિસ કરવી જોઈએ કારણ કે આ આસનો સાવ સરળ નથી, થોડાં અઘરાં કહી શકાય એવાં છે. જો જાતે કરવામાં ગરબડ થઈ તો ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે.


યોગ સિવાય ચહેરા માટે ઘણા પ્રાણાયામ પણ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે કપાલભાતિ. આ પ્રાણાયામનો શાબ્દિક અર્થ જ એ છે કે જેના દ્વારા કપાળ પર તેજ આવે એ પ્રાણાયામ. ભસ્ત્રિકા શરીરનું પાચન સુધારે છે. ઘણી વાર પીળા પડી ગયેલા ચહેરાનું કારણ ખરાબ પાચન હોય છે. આ સિવાય મેડિટેશન એટલે કે ધ્યાન પણ ખૂબ જરૂરી છે.

-હંસા યોગેન્દ્ર


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK