ગઈ કાલે અયોધ્યાના રામ મંદિરમાં પહેલા માળે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. રાજા રામ સાથે માતા સીતા, હનુમાનજી તથા ભ્રાતાઓ લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરતની દિવ્ય મૂર્તિઓનાં દર્શન ટૂંક સમયમાં જ ભક્તો માટે શરૂ થશે.
ગઈ કાલે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા દરમ્યાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો.
હજી દર્શન માટે જઈ શકાશે નહીં, આવતી કાલે થનારી બેઠકમાં નક્કી થશે કે ભાવિકો માટે ક્યારથી રામ દરબાર ખુલ્લો મૂકવો
ગઈ કાલે ગંગા દશહરા અને દ્વાપર યુગના પ્રારંભની પાવન તિથિએ અભિજિત મુહૂર્તમાં શ્રી રામ મંદિરના રામ દરબારની ભવ્ય અને દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તેમના જન્મદિવસે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બન્યા હતા અને કહ્યું હતું કે ‘રામ દરબાર માત્ર ધાર્મિક પ્રતીક નથી. એ આપણા શાસકીય આદર્શ અને પારિવારિક મૂલ્યનું પ્રતીક પણ છે.’
ADVERTISEMENT
શ્રી રામ મંદિરના ભૂતલ પર ૨૦૨૪ની બાવીસમી જાન્યુઆરીએ બાલક રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી, જ્યારે ગઈ કાલે પ્રથમ માળ પર ભગવાન રાજા રામ સાથે ઈશાન ખૂણે શિવ-પાર્વતી, અગ્નિ કોણમાં ગણેશજી, દક્ષિણ ભુજાના મધ્યમાં હનુમાનજી, નૈર્ઋત્ય કોણમાં સૂર્યદેવ, વાયવ્ય કોણમાં મા ભગવતી અને ઉત્તરી ભુજાના મધ્યમાં મા અન્નપૂર્ણા દેવી એમ સપ્ત દેવોની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. મુખ્ય મહેમાનના રૂપમાં રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ કુમાર મિશ્રએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે મળીને ત્રણ દિવસીય અનુષ્ઠાન સંપન્ન કર્યું હતું. પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનના આખરી ચરણમાં ગઈ કાલે સવારે દેવતાઓનું આહવાન કરીને પૂજાનો પ્રારંભ થયો હતો. કાશીના યજ્ઞાચાર્ય જયપ્રકાશ ત્રિપાઠીના નેતૃત્વમાં મંત્રોચ્ચારણ કર્યા પછી તમામ દેવતાઓની આંખો પર બાંધેલી પટ્ટી ખોલીને તેમને દર્પણ દેખાડવામાં આવ્યું હતું અને ૧૧.૨૫થી ૧૧.૪૦ સુધીના અભિજિત મુહૂર્તમાં તમામ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આ દરમ્યાન સમગ્ર પરિસર વૈદિક મંત્રો અને રામનામ સંકીર્તનથી ગૂંજી ઊઠ્યો હતો.
ગણેશજી, બજરંગબલી, શેષાવતાર, સૂર્યદેવ, શિવ-પાર્વતી, મા ભગવતી, મા અન્નપૂર્ણા
રામ દરબારનાં દર્શનમાં વાર લાગશે
ભલે પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ અને સમગ્ર મંદિરનું નિર્માણકાર્ય પણ પૂરું થઈ ગયું છે, એમ છતાં રામ દરબાર અને અન્ય મંદિરોનાં દર્શન કરવા માટે હજી રાહ જોવી પડશે. ૭ જૂને થનારી બેઠકમાં નિર્ણય લેવાશે કે ક્યારે ભક્તો માટે રામ દરબાર ખુલ્લો મુકાશે.
મૂર્તિઓની વિશેષતા
રામ દરબારમાં સ્થાપિત થયેલી તમામ મૂર્તિઓ મકરાણાના સફેદ સંગેમરમરમાંથી જયપુરમાં બનેલી છે. એમાં રાજા સ્વરૂપે ભગવાન રામની સાથે સીતામાતા સિંહાસન પર બિરાજમાન છે. તેમનાં ચરણો પાસે હનુમાનજી અને ભરત બેઠા છે અને સિંહાસન પાસે લક્ષ્મણ અને શત્રુઘ્ન છે. રામ દરબારની મૂર્તિઓમાં રામના મુખારવિંદમાં મર્યાદા અને કરુણા; સીતાજીના ચહેરા પર શાંતિ; ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના ચહેરા પર સમર્પણ અને હનુમાજીની મુખમુદ્રા પર ભક્તિ અને બળનું સંયોજન છે. આ મૂર્તિઓ જયપુરના મૂર્તિકાર સત્યનારાયણે બનાવેલી છે. મૂર્તિઓને સોનાના છત્ર, રેશમથી બનેલાં વસ્ત્રો અને આભૂષણોથી સજાવવામાં આવી હતી. સિંહાસન સાથે રામ દરબારની મૂર્તિઓની ઊંચાઈ સાડાસાત ફુટની છે.
સુરતના હીરાવેપારીએ અયોધ્યાના રામમંદિરના રામ દરબારમાં ૩૦ કિલો ચાંદી, ૩૦૦ ગ્રામ સોનામાંથી બનેલાં તેમ જ હીરા, રૂબીથી મઢેલાં ઘરેણાં કર્યાં અર્પણ
સુરતના હીરા ઉદ્યોગપતિએ અયોધ્યામાં બનેલા રામમંદિરમાં, રામ દરબારમાં ૩૦ કિલો ચાંદી, ૩૦૦ ગ્રામ સોનામાંથી બનેલાં તેમ જ હીરા, રૂબીથી મઢેલાં ઘરેણાં અર્પણ કર્યાં હતાં. આ ઘરેણાંમાં પ્રભુશ્રી રામ માટેનાં સોનાનાં ધનુષબાણનો પણ સમાવેશ છે.
અયોધ્યાના રામમંદિરમાં અર્પણ કરાયેલાં ધનુષબાણ ઉપરાંત મુગટ, કાનનાં કુંડળ સહિતના સોનાના દાગીના.
સુરતના ઉદ્યોગપતિ સાથે અયોધ્યા ગયેલા અને સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અયોધ્યાના રામમંદિરમાં ગઈ કાલે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી જેમાં સુરતની હીરાની ગ્રીનલૅબ ફૅક્ટરીના ચૅરમૅન મુકેશ પટેલે પોતાની ભાવનાથી દાગીના અર્પણ કર્યા હતા. ૩૦ કિલો ચાંદી, ૩૦૦ ગ્રામ સોનામાંથી ગળાનો હાર, કાનનાં કુંડળ, કપાળનું તિલક, ૧૧ મુગટ સહિતના દાગીના ઉપરાંત ધનુષ અને બાણ પણ બનાવીને રામ દરબારમાં અર્પણ કર્યાં હતાં. દાગીનામાં એક હજાર કૅરૅટના હીરા, ૩૦૦ કૅરૅટના રૂબી જડવામાં આવ્યા હતા. અમે ત્યાં સાથે દર્શન કરવા ગયા હતા અને આભૂષણો અર્પણ કર્યાં હતાં.’

