છેલ્લાં ૧૦ વર્ષથી આ મંડળ દ્વારા ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે
નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી રહેલા મંડળના સભ્યો.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટીમાં શ્રી ગણેશ મંડળ દ્વારા ૮૨ કિલો નાડાછડીમાંથી અંદાજે ૧૦ ફુટ ઊંચી ગણપતિબાપ્પાની વિશાળ મૂર્તિ બનાવવામાં આવી છે. હાલમાં આ મૂર્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
છેલ્લાં ૧૦ વર્ષથી આ મંડળ દ્વારા ઇકો-ફ્રેન્ડ્લી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ વર્ષે નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. એમાં મૂર્તિ બનાવવા માટે આશરે ૮૨ કિલો નાડાછડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંડળના વીસથી પચીસ જેટલા યુવાનોએ મહેનત કરીને મૂર્તિ તૈયાર કરી છે. એમાં દોઢ મહિનાનો સમય લાગ્યો છે. નાડાછડી કુદરતી સામગ્રી હોવાથી એનો ઉપયોગ કરીને મંડળ દ્વારા પર્યાવરણ-સંરક્ષણનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવવામાં આવી રહી છે. ગયા વર્ષે વડવાઈઓ, પડિયા–પતરાળાં અને નારિયેળની છાલમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી હતી. ઉલ્લેખની વાત એ છે કે મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી.
