ગબ્બર ફરતે શરૂ થયેલી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ત્રિશૂલ અને પાદુકાયાત્રા યોજાઈ : એક જ સ્થળે એકસાથે ૫૧ શક્તિપીઠનાં દર્શન કરવા ઊમટી રહ્યા છે માઈભક્તો
ગબ્બર ફરતે પરિક્રમાના માર્ગ પર આવતી શક્તિપીઠનાં મંદિરોમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ, અંબાજી ગબ્બર પાસે ત્રિશૂલ અને પાદુકાયાત્રા યોજાઈ હતી તેમજ પરિક્રમા કરવા ઊમટેલા માઈભક્તો.
ઉત્તર ગુજરાતમાં આવેલા આસ્થા અને શ્રદ્ધાના મુકામસમા યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરની ફરતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. એક જ સ્થળે એકસાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવા અગણિત માઈભક્તો ઊમટ્યા છે અને ‘બોલ માડી અંબે, જય-જય અંબે’નો નાદ આરાસુરી ગબ્બરની ચોતરફ ગુંજી ઊઠ્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૩ દિવસના ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ગઈ કાલે બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ગબ્બર પર માઈભક્તો ઊમટ્યા હતા અને વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું.
ADVERTISEMENT
આધ્યાત્મિકતાના માહોલમાં ત્રિશૂલયાત્રા અને પાદુકાયાત્રા યોજાઈ હતી જેમાં સાધુસંતો, માઈભક્તો જોડાયા હતા. પરિક્રમા માર્ગ સતત માતાજીના જયકારા, ભજન-કીર્તનથી સુરમય બન્યો હતો. એના પગલે ગબ્બર પરિક્રમા માર્ગ પર આધ્યાત્મિકતાનો ઉલ્લાસ છવાયો હતો.


