વિજ્ઞાન જાથાએ લોકોને આવા વરતારા પર ભરોસો ન કરવાની અપીલ કરી, સામે પક્ષે ખેડૂતોએ અંબાલાલકાકાને આગાહી બંધ નહીં કરવા કરી અપીલ
અંબાલાલ પટેલ
ચોમાસાની સીઝન હોય, ઉનાળાની કે ઠંડીની સીઝન હોય, પોતાની આગાહીઓથી લોકપ્રિય બનેલા અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે. આ વાત વાયુવેગે ચારેકોર ફેલાઈ જતાં અગણિત ખેડૂતો સહિત તેમના ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો સહિતના લોકોએ અંબાલાલકાકાને આગાહી બંધ નહીં કરવા અપીલ કરી છે.
વરતારા કરનાર પર ભરોસો નહીં કરવા માટે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ લોકોને અપીલ કર્યા બાદ અંબાલાલ પટેલે હવે પછી તેઓ આગાહી નહીં કરે અેવી જાહેરાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં અંબાલાલકાકાએ કહ્યું હતું કે ‘વિજ્ઞાન જાથાનાં નિવેદન હજી પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાન પર કુઠારાઘાત છે. ઋષિમુનિઓના જ્ઞાન પર કુઠારાઘાત છે. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા. હવે અમારી ઉંમર થઈ, વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને સપોર્ટ મળશે તો આગાહી આપીશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ.’
