બનાસકાંઠામાં કૉન્ગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ લેખિતમાં આપવી પડશે આવી બાંયધરી
ઉમેદવારો માટેનો બાંયધરી-પત્ર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ટિકિટવાંછુ ઉમેદવારો તેમના પક્ષમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ બાંયધરી-પત્ર ભરવો પડશે અને લેખિત આપવું પડશે કે હું કોઈ પક્ષપલટો કરીશ નહીં. સંભવિત રીતે ગુજરાતના રાજકારણમાં આવું કદાચ પહેલી વાર બન્યું હશે કે કોઈ રાજકીય પક્ષે ઉમેદવારો જીતીને પક્ષપલટો ન કરે એ માટે આવો નિર્ણય લીધો હોય.
ભૂતકાળમાં ચૂંટણીમાં જીત મેળવીને કૉન્ગ્રેસના ઘણા જીતેલા ઉમેદવારે પક્ષપલટો કર્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા કૉન્ગ્રેસે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
પાલનપુર તાલુકાના કૉન્ગ્રેસના પ્રમુખ સેનજી દેલવાડિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘જિલ્લા અને તાલુકાપંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે આ વખતે કૉન્ગ્રેસે એવી વાત નક્કી કરી છે કે બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં ઉમેદવાર પાસેથી બાંયધરી-લેખ લખાવવામાં આવશે કે ભવિષ્યમાં કૉન્ગ્રેસનાં હિતો અને આદેશોનું તે ચુસ્તપણે પાલન કરશે. ન કરે તો એક બાંયધરી-લેખ સ્ટૅમ્પ પર નૉટરાઇઝ કરીને આપવાનો રહેશે એવું નક્કી કર્યું છે. એનું કારણ એ છે કે ભવિષ્યમાં કોઈ પક્ષપલટો ન કરે. જો પક્ષપલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે ગાંધીનગર કોર્ટમાં સભ્યપદ રદ કરાવીશું.’
