જે લોકોએ મારા વિશે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી તેમની સાથે મારે નથી બેસવું
યુવરાજ સિંહ
ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહે પોતાની કૉમેન્ટરી-કરીઅર વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું હતું કે ‘તું ક્રિકેટની કૉમેન્ટરી કેમ કરતો નથી? કેમ કૉમેન્ટરીથી દૂર ભાગે છે?’ આ સવાલનો જવાબ આપતાં યુવીએ કહ્યું હતું કે ‘કેટલાક લોકોએ મારા વિશે ચર્ચા કરી પણ એ ક્રિકેટ વિશે નહોતી, વ્યક્તિગત હતી. ક્રિકેટ વિશે કે મૅચ વિશે બોલો એ યોગ્ય છે, પણ વાત જ્યારે વ્યક્તિગત સ્તર પર આવે છે ત્યારે એ યાદ રહી જાય છે. જે લોકોએ મારા વિશે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી તેમની સાથે મારે બેસવું નથી. એટલે હું કૉમેન્ટરી નથી કરતો.’ આ ઇન્ટરવ્યુમાં યુવરાજ સિંહે પોતાના પપ્પા યોગરાજ સિંહનાં વિચિત્ર નિવેદનો વિશે નારાજગી વ્યક્ત કરીને મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવની જાહેરમાં માફી પણ માગી હતી. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે પોતાની સાથેના અન્યાય માટે કપિલ દેવને અને યુવી સાથેના અન્યાય માટે ધોનીને જવાબદાર ગણાવીને ભૂતકાળમાં તેમની વિરુદ્ધ નિવેદનો આપ્યાં હતાં.
