મિનિસ્ટર નિતેશ રાણેએ મુંબ્રામાં આયોજિત એક કાર્યક્રમમાં આવું કહ્યું એ પછી થાણે જિલ્લામાં ફરી રાજકીય ગરમાટો
મુંબ્રા–શીળ ફાટા ખાતે નિતેશ રાણેએ સભાને સંબોધી હતી.
મુંબ્રામાં આયોજિત એક સભામાં શુક્રવારે સાંજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રધાન નિતેશ રાણેએ જાહેર સભામાં મુંબ્રાનું નામ બદલીને મુંબ્રાદેવી રાખવાની વાત કરતાં ફરી એક વાર થાણેમાં રાજકીય તનાવ વધ્યો છે. મુંબ્રા–શીળ ફાટા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી સભામાં નિતેશ રાણેએ શિવાજી મહારાજ વિશે સભાને સંબોધન કરતાં મુંબ્રા કોઈના અબ્બાનું નથી એવો દાવો કર્યો હતો. તાજેતરમાં ચૂંટણી પત્યા બાદ મુંબ્રા રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)નાં એક સ્થાનિક કૉર્પોરેટરે મુંબ્રાને લીલા રંગે રંગી દેવાશે જેવું નિવેદન કર્યા પછી વિવાદ શરૂ થયો હતો.
નિતેશ રાણેએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મુંબ્રા કોઈના અબ્બાનું નથી, એ હિન્દુ પરંપરાઓ સાથે જોડાયેલું સ્થાન છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસ વિશે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમની સેનામાં મુસ્લિમો હતા એવો દાવો ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ તેમણે મુંબ્રા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હિન્દુ નાગરિકોને અપીલ કરી હતી કે તેમણે કોઈથી ડરવાનું નથી. જરૂર પડે ત્યારે માત્ર એક ફોન કરવાનું આહ્વાન નિતેશ રાણેએ લોકોને કર્યું હતું. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે જો હિન્દુ સમાજ પર એક પણ અત્યાચારની ઘટના બનશે તો અમે રાતે તાંડવ મચાવીશું.
ADVERTISEMENT
એ નિવેદન પછી મુંબ્રા સહિત થાણેમાં રાજકીય વાતાવરણ તંગ બન્યું હતું. મુંબ્રા પોલીસે ગઈ કાલે સવારથી જ મુંબ્રાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દીધી હતી.
