Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં સંભવિત અછતની પરિસ્થિતિનું આગોતરા આયોજન કરવા માટે કલેક્ટરે યોજી સમીક્ષા-બેઠક

કચ્છમાં સંભવિત અછતની પરિસ્થિતિનું આગોતરા આયોજન કરવા માટે કલેક્ટરે યોજી સમીક્ષા-બેઠક

Published : 16 July, 2026 09:48 AM | IST | Kutch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશુપાલકોને ઘાસચારો મળી રહે અને અન્ય જિલ્લામાં સ્થળાંતર ન કરવું પડે એ સહિતની બાબતો પર થઈ ચર્ચા

કચ્છમાં યોજાયેલી સમીક્ષા-બેઠક.

કચ્છમાં યોજાયેલી સમીક્ષા-બેઠક.


ચોમાસાની આ સીઝનમાં કચ્છ જિલ્લામાં હજી સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી ત્યારે સંભવિત અછતની પરિસ્થિતિને લઈને આગોતરા આયોજન માટે કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ 
સમીક્ષા-બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ વખતે કચ્છ જિલ્લામાં જોઈએ એવો વરસાદ થયો નથી જેને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરીને ઘાસની સંભવિત અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમ જ જરૂરી આયોજન અંગે ચર્ચાવિચારણા કરવા કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા-બેઠક યોજાઈ હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાય તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે એ હેતુથી ગામડાંઓને ક્લસ્ટરદીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સમગ્ર જિલ્લાનાં તમામ ઘાસ-ગોડાઉનોમાં ઉપલબ્ધ ઘાસના જથ્થાની વિગતો મેળવી હતી. આ ઉપરાંત અગાઉનાં વર્ષોમાં સર્જાયેલી અછતની પરિસ્થિતિ વખતે કરવામાં આવેલા ઘાસ-વિતરણના આયોજન અંગે પણ જાણકારી મેળવી હતી.



ઘાસચારાની વ્યવસ્થા માટે જિલ્લા-કલેક્ટરોને સત્તા સોંપવામાં આવી


ગુજરાત સરકારે પશુધનની સુરક્ષા માટે ગઈ કાલે મળેલી કૅબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. એ મુજબ ગુજરાતમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે એવા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટેની સીધી સત્તા જિલ્લા-કલેક્ટરોને સોંપવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુઓના ઘાસચારાની વ્યવસ્થામાં વિલંબ ન થાય એ માટે જિલ્લા-કલેક્ટરને સત્તા સોંપવામાં આવી છે. એને કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુધનના ઘાસચારા માટેની જરૂરી વ્યવસ્થા માટે સમયનો વ્યય નહીં થાય. આ પ્રકારની વહીવટી મંજૂરી-પ્રક્રિયામાં ઘણો સમય વ્યતીત થતો હોવાનું ધ્યાને આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 09:48 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK