અડધો કલાક બંધ કરવા પડ્યા ગરબા
ફાઇલ તસવીર
યુનાઇટેડ વે ઑફ ગરબામાં ગઇકાલે હોબાળો થયો હતો, જેને કારણે અડધો કલાક ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો. ગ્રાઉન્ડમાં પથ્થર અને કાંકરા હોવાથી ખેલૈયાઓને ગરબા રમવામાં ભારે હાલાકી પડી હતી. પગમાં પથ્થર અને કાંકરા લગતા કેટલાક લોકોને પગમાં ઇજા થઈ હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. સતત બીજા દિવસે પણ પથ્થર-પથ્થરની બૂમો પડી હતી.
યુનાઇટેડ વેમાં પ્રથમ વખત આ રીતે હોબાળો થયો હોવાનું કહેવાય છે. સુવિધાના અભાવને કારણે લોકોએ રિફંડની માગ કરી હતી. આયોજકો રિફંડ આપવાની તૈયારી બતાવી હોવા છતાં લોકો શાંત થયા ન હતા, જેને પગલે અતુલ પુરોહિતે પણ અશ્વાસન આપ્યું. તેમણે કહ્યું કે “પહેલી વાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.”
ADVERTISEMENT
ઇન્ટર્વલ પછી બીજા ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતાં હોબાળો મચી ગયો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી આ હોબાળો ચાલ્યો હતો બાદમાં ફરીથી ગરબા શરૂ થયા હતા. પ્રથમવાર અડધો કલાક સુધી ગરબા બંધ રહ્યા હોવાની ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ-વેમાં પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં તકલીફ પડી હતી અને ગરબા રમવાનો ઉત્સાહ ઓસરી ગયો હતો. ખેલૈયાઓ ભારે રોષે ભરાયા હતા જેને કારણે અતુલ પુરોહિતે માઇક પરથી આયોજકોનો બચાવ કરતાં કહેવું પડ્યું કે “માફ કરજો, નવી જગ્યામાં તકલીફ પડી રહી છે, આવતી કાલથી નહીં પડે. એ બાદ મંગળવારે આયોજકોને ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા વીણાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં ગરબા અટકાવવાનો વારો આવ્યો હતો.