Gujarat News: વીરપરડા ગામના એક કૂવામાં પાણી હાલકડોલક થવા લાગ્યું હતું. અચાનક કૂવાનું જળ ઉછળવા લાગતાં સ્થાનિકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ગુજરાત (Gujarat News)ના મોરબીમાંથી એક રહસ્યમયી ઘટના સામે આવી હતી. વીરપરડા ગામના એક કૂવામાં પાણી હાલકડોલક થવા લાગ્યું હતું. અચાનક કૂવાનું જળ ઉછળવા લાગતાં સ્થાનિકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. મળતી માહિતી અનુસાર હજી થોડા દિવસ પહેલા જ ગામમાં આ ૧૮ ફૂટ ઊંડો કૂવો ખોદવામાં આવ્યો હતો. લગભગ પાંચ દિવસથી કૂવામાં દરિયાના મોજાં ઉછળતા હોય તેવી ઘટના સર્જાઇ હતી. આશ્ચર્ય એ વાતનું છે કે આ જ કૂવાની આસપાસ આવેલા બીજા કૂવામાં તો પાણી એકદમ સ્થિર હતું પણ માત્ર આ જ કૂવામાં જાદુઇ ઘટના જોવા મળી હતી. જોકે, કૂવામાં ઉછાળા મારી રહેલ પાણીને જોવા માટે લોકોના ટોળેટોળાં ભેગા થવા લાગ્યા હતા. આને કોઈ ચમત્કારિક ઘટના માનીને અમૂક સ્થાનિકોએ તો પોતાના ફોનમાં વિડિયો પાડીને સોશિયલ મીડિયા પર વહેતા મૂક્યા હતા. જોકે આસપાસના કૂવાણું પાણી સ્થિર હોઇ માત્ર આ એક જ કૂવાનું પાણી ઉછળતું હોવાથી સ્થાનિક લોકોને ભૂકંપનો ડર પણ સતાવા લાગ્યો છે.
તમે જોઈ કે નહીં આ ઘટના? જોઈ લો
ADVERTISEMENT
View this post on Instagram
ખેતરમાલિકે પ્રત્યક્ષ જોયેલો સીન વર્ણવ્યો
આ કૂવો જ્યાં આવેલો છે તે ખેતરમાલિક પ્રાણજીવન સાદરિયાએ જણાવ્યું હતું કે આ કૂવો (Gujarat News) ત્રણેક મહિના અગાઉ જ ખોદવામાં આવ્યો હતો. બીજી ઓગસ્ટે જ્યારે હું ખેતરે આવ્યો હતો ત્યારે મેં કૂવામાંથી પાણી હિલ્લોળા લેતું જોયું. પાણી કૂવાની બહાર ઊભરાઈ રહેલું જોઇ હું દંગ રહી ગયો. કૂવાના પાણીમાં સતત મોજાં ઉછળે એમ ઉભરા આવી રહ્યા હતા."
એક્સપર્ટ્સ કહે છે કે....
આ સમગ્ર ઘટના અંગે નિષ્ણાત ભૂસ્તરશાસ્ત્રી જણાવી રહ્યા છે કે આ પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં ભૂકંપ (Gujarat News) જેવી તો કોઈ પરિસ્થિતિ જણાતી નથી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગ્રાઉન્ડવોટર રીચાર્જ થઈ રહ્યું છે. ખડકોના છિદ્રોમાં ફસાયેલી હવા જ્યારે બહાર આવે છે ત્યારે કૂવાનું પાણી ઉછળતું હોય એવું જણાય છે. પ્લસ આ વિસ્તારમાં કોઈ સક્રિય `ફોલ્ટ લાઈન` ન હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. નિષ્ણાત જીઓલોજિસ્ટના મતે આવી ઘટના બનવા પાછળ અમૂક વૈજ્ઞાનિક કારણો હોઇ શકે છે. એક કારણ એવું છે કે મોન્સૂનમાં ભૂગર્ભમાં રહેલ વોટર રિઝર્વોયર (એક્વિફર)માં પાણીનું પ્રેશર વધતું હોય છે જેના કારણે કૂવા કે અન્ય જળાશયોનું પાણી ઉપરની બાજુએ ખેંચાય છે. બીજું કે જમીનની અંદર રહેલ ટેક્ટનિક પ્લેટમાં ઝીણા ઝીણા આંચકા આવે તો પણ આવું થતું હોય છે. એનું ઉદાહરણ વર્ષો પહેલાં રાંચીમાં જોવા મળ્યું હતું. મ્યાનમારમાં ભૂકંપ આવવાથી અહીં રાંચીના ભૂગર્ભસ્ત્રોત ખસી ગયા હતા. આમ, નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે કૂવાઓ નવાનવા ખોદવામાં આવે છે ત્યારે તેમાં પાણીનઉ સ્તર બેલેન્સ થતું હોય છે ત્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે.
જોકે, આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને ગુજરાત સરકારે તપાસ આદરી છે. મોરબી જિલ્લા (Gujarat News) કલેક્ટરે જણાવ્યું હતું કે આ આખી ઘટના પાછળ શું કારણો છે તે અંગે વિસ્તૃત તપાસ કરવાની રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં તપાસ પૂર્ણ થયે સત્તાવાર રિપોર્ટ સામે આવી શકે છે. એની સાથે જ પ્રશાસને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે.
