સુરતની શનિવારની મધરાતની ઘટના : તુષાર ઘેલાણી નાજુક સ્થિતિમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રતીકાત્મક તસવીર
સુરતમાં રહેતા બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાની દીકરીનાં લગ્ન અગાઉ શનિવારે મધરાતે પોતાના જ ઘરમાં કોઈ કારણસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જાતે જ પોતાની પિસ્તોલ લમણે મૂકીને ગોળી મારી દીધી હતી, એના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર તાત્કાલિક તેમને હૉસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેમની નાજુક સ્થિતિ વચ્ચે સારવાર ચાલી રહી છે.
તુષાર ઘેલાણીની દીકરીનાં પાંચમી ફેબ્રુઆરીએ લગ્ન છે. ઘરમાં દીકરીનાં લગ્નને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. શનિવારે રાતે પરિવારના સભ્યો ઘરમાં હતા અને રવિવારે લગ્ન લખવાની ચર્ચાઓ ચાલી રહી હતી એને લઈને ઘરમાં ખુશીનો માહોલ હતો. આ દરમ્યાન અચાનક તુષાર ઘેલાણી પોતાના બેડરૂમમાં ગયા હતા અને પોતાની પિસ્તોલ માથે મૂકીને જાતે જ ગોળી છોડીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો તેમની પાસે દોડી ગયા હતા અને તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એકદમ નજીકથી ગોળી ચલાવી હોવાથી મગજના ડાબા ભાગમાંથી જમણા ભાગ સુધી ગોળી પહોંચી હતી. એના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ હૉસ્પિટલમાં પહોંચી હતી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી.


