બોરીવલીના વૉર્ડ-નંબર ૭માંથી જીતી આવેલા ગણેશ ખણકરને નવા BJP જૂથ-નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,
શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટાયેલા કૉર્પોરેટર્સ કોકણભવનમાં રજિસ્ટ્રેશન કરાવવા ગયા એ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટર્સ પર ભેગા થયા હતા. તસવીર : આશિષ રાજે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીનાં બે અઠવાડિયાંથી વધુ સમય પછી ભારતીય જનતા પાર્ટી (BJP)એ આખરે પોતાના જૂથ-નેતાની નિમણૂક કરી છે. બોરીવલીના વૉર્ડ-નંબર ૭માંથી જીતી આવેલા ગણેશ ખણકરને નવા BJP જૂથ-નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શિવસેનાએ વડાલામાંથી બીજી વખત ચૂંટાઈ આવેલા અમેય ઘોલેને એમની પાર્ટીના જૂથ-લીડર બનાવ્યા છે.
ગણેશ ખણકર દહિસરના વૉર્ડ-નંબર ૭માંથી ચૂંટાયા હતા, તેમણે શિવસેના (UBT)ના ઉમેદવાર સૌરભ ઘોસાળકરને હરાવ્યા હતા જે શિવસેના (UBT)ના વિનોદ ઘોસાળકરના પુત્ર છે. BMCમાં BJP સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવતાં ગણેશ ખણકર ગૃહના નેતા તરીકે સેવા આપશે. BJPએ અને શિવસેનાએ સોમવારે CBD બેલાપુરમાં કોકણભવનમાં કોકણ વિભાગીય કમિશનરની ઑફિસમાં પોતાના ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે એના જૂથની ઔપચારિક નોંધણી કરાવી હતી.


