રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે એવો દાવો કરતા ડોનલ્ડ ટ્રમ્પને બન્ને દેશો તરફથી મજબૂત પ્રતિભાવ
ડોનલ્ડ ટ્રમ્પ
બુધવારે રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે ‘રશિયા ક્યારેય ભારતનું એકમાત્ર એનર્જી-પાર્ટનર નથી રહ્યું. જો ભારત અન્ય કોઈ દેશ પાસેથી પણ તેલની ખરીદી કરે તો એ માટે એ સ્વતંત્ર છે. એમાં કશું જ ખોટું ન માનવું જોઈએ.’
પેસ્કોવે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું છે એવી કોઈ સત્તાવાર જાણકારી ભારત તરફથી નથી આવી. હા, અમે જાણીએ છીએ કે ભારત તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો માત્ર રશિયા પાસેથી જ ખરીદે છે એવું નથી. ભારત હંમેશાં બીજા દેશો પાસેથી પણ આ ઉત્પાદનો ખરીદતું આવ્યું છે. અમને એમાં કશું નવું નથી લાગતું.’
ADVERTISEMENT
રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું હતું કે ‘અમેરિકન પ્રેસિડન્ટ ભારત જેવા સ્વતંત્ર દેશે કોની સાથે વેપાર કરવો કે નહીં એ કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ રશિયા પાસે કોઈ કારણ નથી કે તે માની લે કે અમારા ભારતીય મિત્રોનો અપ્રોચ બદલાઈ ગયો હોય. ભારત રશિયન હાઇડ્રોકાર્બનની ખરીદી કરે એ બન્ને પક્ષો માટે ફાયદેમંદ છે. એ વૈશ્વિક ઊર્જાબજારમાં સ્થિરતા જાળવવામાં મદદરૂપ છે. અમે ભારતીય ભાગીદારો સાથે નિકટ સહયોગ જાળવી રાખવા માટે તૈયાર છીએ.’
૧.૪ અબજ ભારતીયોની એનર્જી સિક્યૉરિટી સરકારની પ્રાથમિકતા છે, એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવાયા છે અને લેવાશે : ભારત વિદેશ મંત્રાયલ
રશિયન તેલ મામલે ડોનલ્ડ ટ્રમ્પના દાવાઓના જવાબમાં ભારત સરકારે એક વાર ફરીથી સાફ કરી દીધું હતું કે ભારત માટે ઊર્જા-સુરક્ષા એની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગઈ કાલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ભારતની ઊર્જા-સુરક્ષા ૧.૪ અબજ લોકોની જરૂરિયાતો પર આધારિત છે. વૈશ્વિક ઊર્જાબજારમાં અસ્થિરતા વચ્ચે ભારત પોતાના નાગરિકોના હિતને આગળ રાખશે. ભારતની નીતિ સ્વતંત્ર અને સંતુલિત છે, જે કોઈ એક દેશ પર નિર્ભર નથી. સરકારે અનેક વાર જાહેરમાં કહ્યું છે કે ૧.૪ અબજ ભારતીયોની એનર્જી સિક્યૉરિટી સરકારની પ્રથમ પ્રાયોરિટી છે. ઑબ્જેક્ટિવ માર્કેટની સ્થિતિઓ અને બદલાતા આંતરરાષ્ટ્રીય માહોલના હિસાબે આપણા એનર્જી-સોર્સને ડાઇવર્સિફાય કરવું એ અમારી રણનીતિનો મુખ્ય હિસ્સો છે. ભારતના તમામ ફેંસલા આ જ વાતને ધ્યાનમાં રાખીને લેવાયા છે અને લેવાશે.’


