ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બંધ થયેલી મૈત્રી, બંધન અને મિતાલી એક્સપ્રેસ ફરી શરૂ કરવા અંગે આ અઠવાડિયે બેઠક યોજાશે. રાજશાહી-કોલકાતા નવી રેલવે લાઇન અને મૈત્રી એક્સપ્રેસનો માર્ગ બદલવા અંગે પણ ચર્ચા થશે.
પ્રતીકાત્મક તસવીર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. બંને દેશો વચ્ચે બંધ થયેલી રેલવેસેવા ફરી શરૂ કરવા માટે આ અઠવાડિયે મહત્વની બેઠક યોજાવાની છે. બાંગ્લાદેશ રેલવેના અધિકારીઓ મંગળવારથી ઢાકામાં ભારતીય અધિકારીઓ સાથે બે દિવસીય બેઠક કરશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે અગાઉ દોડતી મૈત્રી, બંધન અને મિતાલી એક્સપ્રેસ ફરી શરૂ કરવા અંગે ચર્ચા થશે. ૨૦૨૪માં બાંગ્લાદેશમાં થયેલા હિંસક વિરોધ બાદ આ રેલવેસેવા બંધ કરવામાં આવી હતી. મૈત્રી એક્સપ્રેસ ઢાકાને કોલકાતા સાથે જોડે છે, જ્યારે બંધન એક્સપ્રેસ ખુલનાને કોલકાતા સાથે કનેક્ટ કરતી હતી. જ્યારે મિતાલી એક્સપ્રેસ ઢાકા અને પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી હતી. બંને દેશો વચ્ચેની કનેક્ટિવિટી (Railway Connectivity) ફરી શરૂ થાય તો મુસાફરો માટે આવનજાવન વધુ સરળ બની શકે છે.
રાજશાહીથી કોલકાતા સુધી નવી રેલવે લાઇનની વાત
ADVERTISEMENT
આ બેઠકમાં માત્ર જૂની રેલગાડીઓ ફરી શરૂ કરવાની જ નહીં પરંતુ નવી રેલવે લાઇન બાંધવાની પણ ચર્ચા થઈ શકે છે. બાંગ્લાદેશ ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા રાજશાહી શહેરને કોલકાતા સાથે જોડતી નવી રેલવે લાઇનનો પ્રસ્તાવ મૂકી શકે છે. આ ઉપરાંત ઢાકા અને કોલકાતા વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસનો માર્ગ બદલવાની વાત પણ થઈ શકે છે. હાલમાં આ રેલવે જમુના બ્રિજ પરથી પસાર થાય છે, પરંતુ બાંગ્લાદેશ તેને નવા બનેલા પદ્મા પુલ પરથી દોડાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. બંને દેશો વચ્ચે સહમતી થઈ જાય તો ત્રણેય રેલવે આવતા મહિનાથી ફરી દોડતી થઈ શકે છે. બાંગ્લાદેશના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય રેલવેના અધિકારીઓ પણ આ સેવા ફરી શરૂ કરવામાં રસ ધરાવે છે. નવો રૂટ (Rail Route) શરૂ થવાથી બંને દેશો વચ્ચેની મુસાફરી વધુ સરળ બની શકે છે.
રેલવે સેવા શરૂ થવાથી સંબંધો સુધરવાની આશા
રેલવે સેવા ફરી શરૂ કરવાની વાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ જોવા મળ્યો છે. સોમવારે બંને દેશોના અધિકારીઓ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ભારતના બાંગ્લાદેશ ખાતેના દૂતાવાસ દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશના વડાપ્રધાનના સલાહકાર મો ઇસ્માઇલ જબીઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ સારા કેવી રીતે બની શકે તે અંગે પણ ચર્ચા થઈ હતી. ભારતીય દૂતાવાસે આશા વ્યક્ત કરી છે કે ભારત અને બાંગ્લાદેશ એકબીજા પરના વિશ્વાસ અને બંને દેશોના લાભને ધ્યાનમાં રાખીને આગળ સાથે મળીને કામ કરતા રહેશે. જો રેલવે સેવા ફરી શરૂ થાય તો બંને દેશોના લોકો માટે મુસાફરી સરળ બનશે અને વેપાર, પ્રવાસન તથા લોકોની આવનજાવનને પણ વેગ મળી શકે છે અને આ પગલાથી બંને દેશોના સંબંધો (Bilateral Relations) પણ વધુ સારા બનવાની આશા છે.
