આ સર્વોચ્ચ સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય બન્યા : ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ આઇઝૅક હર્ઝોગે કર્યું હતું તેમનું સન્માન
જૈનેન્દ્ર જૈનને આ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારમાંથી વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરનારા અગ્રણી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર જૈનેન્દ્ર કે. જૈનને ક્વૉન્ટમ મૅટરની સમજણમાં અદ્ભુત ક્રાન્તિ લાવવા બદલ વિજ્ઞાનજગતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘વુલ્ફ પ્રાઇઝ ઇન ફિઝિક્સ’ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બન્યા છે. ૧૮ જૂને ઇઝરાયલની સંસદ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં ત્યાંના રાષ્ટ્રપ્રમુખ આઇઝૅક હર્ઝોગના હસ્તે પ્રો. જૈનેન્દ્ર જૈનને આ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અવૉર્ડ મેળવનારા ભૂતકાળના ૨૭ વૈજ્ઞાનિકો આગળ જતાં નોબેલ પ્રાઇઝ પણ જીતી ચૂક્યા છે.
નાઇજરના ઍરપોર્ટ પર અલ-કાયદાનો આત્મઘાતી અટૅક, ૧૧ સૈનિકો અને બે નાગરિકોનાં થયાં મોત વળતા પ્રહારમાં બાવીસ આતંકવાદીઓ પણ ઠાર
ADVERTISEMENT

પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશની રાજધાની નિયામીમાં આવેલા સૌથી સંવેદનશીલ દિયોરી હમાની આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ગુરુવારે વહેલી સવારે અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન જમાત નુસરત અલ-ઇસ્લામ વલ-મુસ્લિમીન (JNIM) દ્વારા ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ આંતકી હુમલામાં ૧૧ સૈનિકો અને બે નાગરિકોનાં મોત થયાં હતાં, જ્યારે સુરક્ષા-દળોએ જવાબી કાર્યવાહીમાં બાવીસ આતંકવાદીઓને ઘટનાસ્થળે જ ઠાર કર્યા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સવારની નમાજ પૂરી થતાં જ ઍરપોર્ટ અને લશ્કરી બેઝની આસપાસ જોરદાર વિસ્ફોટો અને અંધાધૂંધ ગોળીબારનો અવાજ શરૂ થઈ ગયો હતો. છેલ્લા પાંચ મહિનામાં આ ઍરપોર્ટ પર થયેલો આ બીજો મોટો આતંકી હુમલો છે.
દિલ્હીમાં શરૂ થયું લેડીઝ પોલીસ-સ્ટેશન

રાજધાનીમાં ઉત્તર દિલ્હીના સબ્ઝી મંડી વિસ્તારમાં શહેરનું પહેલું ઑલ વિમેન પોલીસ-સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર તરનજિત સિંહ સંધુએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. સ્ટેશન હેડ ઑફિસર (SHO)થી લઈને અન્ય સ્ટાફ સુધી બધી મહિલાઓ અહીં તહેનાત રહેશે. આ પોલીસ-સ્ટેશન મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ જેમ કે બળાત્કાર, છેડતી, ઘરેલુ અને સામાજિક ગુનાઓ, દહેજ-ઉત્પીડન, ઘરેલુ હિંસા, વૈવાહિક વિવાદો અને દહેજ-મૃત્યુના કેસ હૅન્ડલ કરશે.
કર્ણાટકના મંદિરમાં પણ દાનચોરી! પ્રખ્યાત યોગ નરસિંહ સ્વામી મંદિરના મુખ્ય પૂજારી સહિત ૬ જણ સસ્પેન્ડ

કર્ણાટકનું પ્રખ્યાત યોગ નરસિંહ સ્વામી મંદિર
અયોધ્યાના રામ મંદિરની જેમ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટેમાં આવેલા પ્રસિદ્ધ યોગ નરસિંહ સ્વામી મંદિરના દાનપાત્રમાંથી પણ ચોરી થવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી કરી છે. ફરજમાં ગંભીર બેદરકારી અને સુરક્ષામાં ચૂક બદલ મંદિરના મુખ્ય પૂજારી સહિત ૬ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન આ પ્રતિષ્ઠિત મંદિરમાં ચોરી થતાં સુરક્ષાવ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
