પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પ્રક્રિયાથી અંતર જાળવતાં ઇસ્લામાબાદ પર આર્થિક બોજ વધ્યો
પ્રતીકાત્મક તસવીર
સિંધુ જળ સંધિ વિવાદમાં ભારત દ્વારા ભાગીદારી સ્થગિત કરાયા બાદ પાકિસ્તાન પોતાના સિવાય ભારતનો પણ આર્બિટ્રેશનનો ખર્ચ એકલા હાથે ભોગવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ઇસ્લામાબાદે આ વિવાદને પર્મનન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશન (PCA) સમક્ષ ચાલુ રાખવા માટે અત્યાર સુધીમાં પાંચ કરોડ રૂપિયાથી વધુ (૬,૦૦,૦૦૦ ડૉલર)નો ખર્ચ કરી દીધો છે અને કેસ ચાલુ રહેતાં આ ખર્ચ હજી વધવાની સંભાવના છે.
સંધિના નિયમો મુજબ બન્ને દેશોએ આર્બિટ્રેશન-પ્રક્રિયાનો ખર્ચ સમાન હિસ્સામાં વહેંચવાનો હોય છે. જોકે એપ્રિલ ૨૦૨૫ના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદ સામે પાકિસ્તાન દ્વારા નક્કર કાર્યવાહી ન થાય ત્યાં સુધી સંધિને મોકૂફ રાખીને આ પ્રક્રિયામાં જોડાવાનો ઇનકાર કર્યો હતો.
ADVERTISEMENT
આ વિવાદ પશ્ચિમની નદીઓ પર ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને લઈને છે જેને પાકિસ્તાન સંધિનું ઉલ્લંઘન ગણાવે છે. બીજી તરફ ભારતે પર્મનન્ટ કોર્ટ ઑફ આર્બિટ્રેશન (PCA)ના અધિકારક્ષેત્રને ગેરકાયદે ગણાવીને ફગાવી દીધું હતું અને આ ટેક્નિકલ મુદ્દાનો ઉકેલ ન્યુટ્રલ એક્સપર્ટ દ્વારા લાવવા પર ભાર મૂક્યો હતો. ભારતની ગેરહાજરી છતાં ટ્રિબ્યુનલે સુનાવણી ચાલુ રાખતાં પાકિસ્તાને બધો નાણાકીય બોજ એકલા ઉપાડવો પડી રહ્યો છે.
