આ મુદ્દે ડૉક્ટરોનું કહેવું છે કે આ વર્ગીકરણ ફક્ત સંભવિત જોખમને ઓળખે છે, દરદીઓએ તાત્કાલિક દવા લેવાનું બંધ કરવાનો આદેશ નથી
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ની ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર (IARC)એ હાઈ બ્લડ-પ્રેશર અને ફંગલ ઇન્ફેક્શનમાં તથા ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે ઉપયોગમાં લેવાતી અને વ્યાપકપણે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી ૩ દવાઓ અનુક્રમે હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ, વોરીકોનાઝોલ અને ટેક્રોલિમસને માનવ માટે કાર્સિનોજેનિક (ગ્રુપ 1) તરીકે વર્ગીકૃત કરી છે. જોકે જે લોકો હાલમાં આ દવાઓ લઈ રહ્યા છે તેમણે ગભરાટમાં આવીને દવા જાતે બંધ ન કરવા સામે નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ દવા હાઈ બ્લડ-પ્રેશરની સારવાર માટે વપરાય છે અને WHOના કહેવા મુજબ આ દવાના લાંબા ગાળાના ઉપયોગથી અને સૂર્યના સંપર્કમાં રહેવાથી ત્વચા અને હોઠના કૅન્સરનું જોખમ વધે છે, વોરીકોનાઝોલ દવા ગંભીર પ્રકારના ફૂગના ચેપના ઉપચાર માટે વપરાય છે; જ્યારે ટેક્રોલિમસ દવા અંગપ્રત્યારોપણ પછી શરીરને અંગને નકારતા અટકાવવા માટે એક રોગપ્રતિકારક દવા છે.
ADVERTISEMENT
આ મુદ્દે ડૉક્ટરોનું કહેવું છે કે આ વર્ગીકરણ ફક્ત સંભવિત જોખમને ઓળખે છે, દરદીઓએ તાત્કાલિક દવા લેવાનું બંધ કરવાનો આદેશ નથી. આ જીવનરક્ષક દવાઓના ફાયદા ઘણા કિસ્સાઓમાં તેમનાં જોખમો કરતાં ઘણા વધારે છે. કોઈ પણ દવા બંધ કરતાં પહેલાં હંમેશાં ડૉક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે.
