અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘૨૭, ૨૮ અને ૨૯ જાન્યુઆરીએ કુલ ૫.૩૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હતાં
અંજલિ દમણિયા
સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ફરી એક વાર આરોપ લગાવ્યો છે કે જે દિવસે પુણેમાં અજિત પવારના ઘરની બહાર કાળા જાદુની વિધિની ઘટના બની હતી એ જ દિવસે અશોક ખરાતે એક હોટેલમાં બેઠાં-બેઠાં અગત્યનાં ટ્રાન્ઝૅક્શન્સ કર્યાં હતાં. તેમણે દાવો કર્યો હતો કે ૧૭ જાન્યુઆરીએ અજિત પવારના ઘરની સામે કાળા જાદુની ઘટના બની હતી અને એ જ દિવસે અશોક ખરાતે માત્ર ૩૪ સેકન્ડના સમયગાળામાં ૬ મોટાં મની-ટ્રાન્ઝૅક્શન કર્યાં હતાં. આ બાબતે તપાસ થવી જોઈએ એવો દાવો તેમણે કર્યો હતો.
અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘૨૭, ૨૮ અને ૨૯ જાન્યુઆરીએ કુલ ૫.૩૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં હતાં. આ ટ્રાન્ઝૅક્શન્સની તપાસ કરવી જોઈએ.’ રૂપાલી ચાકણકર અને અશોક ખરાત વચ્ચે ૩૩,૦૦૦ મિનિટના કૉલ્સ અંજલિ દમણિયાએ દાવો કર્યો હતો કે ‘મારી પાસે રૂપાલી ચાકણકરના કૉલ-રેકૉર્ડ્સ છે. આ રેકૉર્ડ્સ મુજબ રૂપાલી ચાકણકરે ખરાતને ૧૭૭ વખત ફોન કર્યો હતો અને બન્ને વચ્ચે કુલ ૩૩,૦૦૦ મિનિટ વાત થઈ છે. એક ખાસ દિવસે તેણે અશોક ખરાત સાથે બાવીસ મિનિટ વાતચીત કરી હતી. ખરાત સાથે વારંવાર વાતચીત કરનારી ટોચની ૧૦ વ્યક્તિમાં રૂપાલી ચાકણકર બીજા ક્રમે છે.’
ADVERTISEMENT
અંજલિ દમણિયાની શંકાની સોય નાશિકના સ્પેશ્યલ IG દત્તાત્રેય કરાળે પર
સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ નાશિકના સ્પેશ્યલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ દત્તાત્રય કરાળે પર અશોક ખરાત સાથે ગાઢ સંબંધો રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ કર્યો છે કે આવા હાઈ પોસ્ટના અધિકારીએ શા માટે આવા કહેવાતા ધર્મગુરુ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી અને સભાને સંબોધન પણ કર્યું?
અંજલિ દમણિયાએ સોશ્યલ મીડિયા પર આ બદલ લખેલી પોસ્ટમાં કહ્યું હતું કે કે આવા કાર્યક્રમોમાં સિનિયર પોલીસ-ઑફિસરની હાજરીથી લોકો ખોટા કામના આરોપીઓ પર વિશ્વાસ કરી શકે છે. તેમણે વધુમાં દાવો કર્યો કે દત્તાત્રય કરાળે અને અશોક ખરાત ઘણી વખત સંપર્કમાં હતા અને આરોપ લગાવ્યો કે તેમની વચ્ચે ૧૮ જેટલી વખત ફોન પર વાતચીત થઈ હતી.
