ડેન્ગી વાઇરસનો એડીસ મચ્છર-વાહક સ્થિર મીઠા પાણીમાં જોવા મળે છે. આ રોગો સામે શરૂ કરવામાં આવેલી બે અઠવાડિયાંની ઝુંબેશમાં બીએમસી સ્થાનિક નગરસેવકો અને શહેરી નાગરિકોના જૂથના બનેલા ઍડ્વાન્સ્ડ લોકાલિટી મૅનેજમેન્ટ (એએલએમ)ની મદદ લેવાની યોજના ધરાવે છે.
ઠાકુર વિલેજ કાંદીવલી ખાતે મલેરિયા અને ડેન્ગી માટે બ્લડ સેમ્પલ લેતા અધિકારી. તસવીર સૌજન્ય સતેજ શિંદે
ડેન્ગી, મલેરિયા અને ચિકનગુનિયા જેવી વેક્ટર-જનિત રોગોમાં થઈ રહેલી વૃદ્ધિ વચ્ચે બીએમસીએ આ રોગ સામેની એની લડતને ઉગ્ર બનાવી છે. ગયા વર્ષના ૧૨૯ કેસ સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગીના ૩૬૫ કેસ નોંધાયા છે. ડેન્ગીના કેસ વધવાની સાથે કેટલાંક મૃત્યુ નોંધાતાં એ ચિંતાનો વિષય બન્યાં છે. રોગના જંતુઓના સંવર્ધનનો ફેલાવો સીમિત કરવા બીએમસીએ જંતુનાશક નિયંત્રણ વિભાગના અધિકારીઓને નિરીક્ષણ અને સારવાર પર વધુ ધ્યાન આપવા તેમ જ ઘરોમાં ઇન્સ્પેક્શનને તીવ્ર બનાવવા જણાવ્યું છે. ડેન્ગી વાઇરસનો એડીસ મચ્છર-વાહક સ્થિર મીઠા પાણીમાં જોવા મળે છે. આ રોગો સામે શરૂ કરવામાં આવેલી બે અઠવાડિયાંની ઝુંબેશમાં બીએમસી સ્થાનિક નગરસેવકો અને શહેરી નાગરિકોના જૂથના બનેલા ઍડ્વાન્સ્ડ લોકાલિટી મૅનેજમેન્ટ (એએલએમ)ની મદદ લેવાની યોજના ધરાવે છે. આ યોજના હેઠળ શહેરીજનોના ઘર અને સોસાયટીઓમાં સ્થિર તાજું પાણી જમા ન થતું હોય એની ખાતરી કરવામાં આવશે.
કેસમાં વધારાથી ચિંતિત ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર ચોમાસામાં ડેન્ગી, મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મુંબઈ સેન્ટ્રલસ્થિત વૉકહાર્ટ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના વડા ડૉક્ટર બેહરામ પારડીવાલાએ ગયા અઠવાડિયે જ ડેન્ગીના ૪૦-૫૦ રોગીઓનો ઇલાજ કર્યો હોવાનું જણાવતાં વધુમાં ઉમેર્યું હતું કે ‘આ એક ગંભીર બીમારી હોવાથી લોકોએ જાતે એની દવા કરવાની કોશિશ કરવી ન જોઈએ. જાતે દવા લેવાના કેસમાં ઘણી વાર ડેન્ગીના દરદીઓના પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો અને ફેરીટિનના ઉચ્ચ સ્તર સાથે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.’
નાણાવટી મૅક્સ સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન અને ઇન્ફેક્ટિયસ ડિસિઝનાં સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર હેમલતા અરોરાએ જણાવ્યું હતું કે ‘ઘણીવાર ચિકનગુનિયાને સમાન લાક્ષણિકતાને કારણે ડેન્ગી, મલેરિયા કે ટાઇફૉઇડ ગણી લેવાની ભૂલ કરાય છે. આથી ચેપ લાગવાની સાથે જ પરીક્ષણ કરાવવું હિતાવહ રહેશે. ડેન્ગીને કારણે કિડનીની સમસ્યા પણ થાય છે. જોકે એનું પ્રમાણ નહીંવત્ છે.