મુંબઈ બૉમ્બબ્લાસ્ટ બાદ જપ્ત થયેલી પૈતૃક જમીન માટે મુંબઈની વ્યક્તિએ સૌથી ઊંચી બોલી લગાવી
દાઉદ ઇબ્રાહિમ
ભાગેડુ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની પૈતૃક મિલકતોને સરકારે તાજેતરમાં હરાજી માટે કાઢી હતી. એક દાયકામાં અનેક વાર હરાજીમાં મુકાયેલી આ પ્રૉપર્ટી માટે પાંચ માર્ચે યોજાયેલી હરાજી બાદ આખરે આ પ્રૉપર્ટી માટે કોઈ ખરીદદાર મળ્યો છે. દાઉદની રત્નાગિરિ જિલ્લામાં આવેલી ખેતીની ચારેય જમીન માટે મુંબઈની એક વ્યક્તિએ સૌથી ઊંચી બોલી લગાવી છે.
કેન્દ્ર દ્વારા સ્મગલર્સ ઍન્ડ ફૉરેન એક્સચેન્જ મૅનિપ્યુલેટર્સ (મિલકત જપ્તી) ઍક્ટ (SAFEMA) હેઠળ આ મિલકતોની હરાજી કરવામાં આવી હતી. કાસકર પરિવાર સાથે જોડાયેલી પ્રૉપર્ટીનો લાંબા સમયથી નિકાલ બાકી હતો.
ADVERTISEMENT
SAFEMA હેઠળ અધિકારી દ્વારા અપાયેલી નોટિસમાં દાઉદના વતન રત્નાગિરિના ખેડ તાલુકાના મુંબકે ગામમાં આવેલી ખેતીની ૪ જમીનની યાદી આપવામાં આવી હતી. એમાં તેની મમ્મી અમીનાબીના નામે નોંધાયેલી પ્રૉપર્ટીનો સમાવેશ પણ થાય છે.
આ ૪ લૅન્ડ પાર્સલ કાસકર પરિવારના પૂર્વજોના હોલ્ડિંગ્સનો ભાગ છે જે ૧૯૯૩ના મુંબઈ બૉમ્બબ્લાસ્ટ સાથે સંકળાયેલી સંપત્તિ સામે કાર્યવાહીના ભાગરૂપે SAFEMA હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
આ પ્રૉપર્ટીની અનામત કિંમતોમાં ૩૦ ટકા ઘટાડો થયો હોવા છતાં કોઈ બોલી લગાવનારાઓ મળ્યા નહોતા. એક પાર્સલની અનામત કિંમત ૯.૪૧ લાખ રૂપિયા હતી, જે ૧૦ લાખ રૂપિયામાં હરાજી થઈ હતી. નિર્ધારિત સમયમાં પૈસા ભર્યા બાદ આ જમીન બોલી લગાવનારને હસ્તક થશે.
