દેવેન્દ્ર ફડણવીસે બજેટસત્રના પહેલા દિવસે અજિત પવારને અર્પણ કરી અનોખી અંજલિ
ગઈ કાલે વિધાનભવનમાં આવતા દેવેન્દ્ર ફડણવીસ સુનેત્રા પવાર. આવ્યાં ત્યારે પાર્ટીનો એક કાર્યકર તેમને પગે લાગ્યો હતો. તસવીરો: સૈયદ સમીર અબેદી
બજેટસત્રના પહેલા દિવસે વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે આપી અજિત પવારને શ્રદ્ધાંજલિ
ઘડિયાળના કાંટે ચાલતા અજિતદાદા આ વખતે સમય ચૂકી ગયા
ADVERTISEMENT
રાજ્યના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને નાણાપ્રધાન અજિત પવારના પ્લેન-ક્રૅશમાં થયેલા નિધન બાદ ગઈ કાલે પહેલી વાર ભરાઈ રહેલા બજેટસત્રમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સમયના પાબંદ અને ઘડિયાળના કાંટે ચાલનારા અજિતદાદા આ વખતે સમય ચૂકી ગયા. બધાને જ્યારે ખરેખર લાગતું હતું કે તેઓ મોટી ઇનિંગ્સ રમશે ત્યારે અજિતદાદા તેમના જીવનનો સમય ચૂકી ગયા. અજિતદાદા ૬ વખત નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ઘણી વખત તેઓ કહેતા કે હું કોઈ દિવસ મુખ્ય પ્રધાન બનીશ. તે મજાકમાં પણ કહેતા, પરંતુ આ વખતે પણ હું નાયબ મુખ્ય પ્રધાન રહીશ. જોકે આજે હું સાચું કહી શકું છું કે અજિતદાદા પવાર મહારાષ્ટ્રના શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન હતા જે ક્યારેય મુખ્ય પ્રધાન નહોતા. જો મહારાષ્ટ્રને અજિતદાદાના રૂપમાં સારો મુખ્ય પ્રધાન મળી શક્યો હોત તો હવે તે નહીં હોય. હું એમ પણ માનતો હતો કે નિયતિએ તેમને એ તક આપી હોત. એ ક્ષમતા તેમનામાં હતી. મહારાષ્ટ્રમાં બે દાદા વસંતદાદા અને અજિતદાદાને હંમેશાં યાદ કરવામાં આવશે.’
આજે હું શૂન્યાવકાશ શબ્દનો અવકાશ સમજી ગયો, કારણ કે અજિતદાદા ફરી આવી નહીં શકે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ખરા અર્થમાં અજિતદાદાનું અચાનક અવસાન દરેક માટે આઘાતજનક છે. તેઓ સવારના છ વાગ્યાથી કામ કરનારા નેતા તરીકે જાણીતા હતા. અજિતદાદાને એક એવા નેતા તરીકે જોવામાં આવતા હતા જેમણે દરેક વસ્તુનું આયોજન કર્યું, દરેક વસ્તુનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને દરેક સેકન્ડનો સારો ઉપયોગ કર્યો. તેઓ ખરેખર મારા દાદા હતા. ૨૦૧૪ પછી અમે નજીક આવ્યા અને એ નિકટતા અંત સુધી ચાલુ રહી.’
અજિતદાદાનું વ્યક્તિત્વ ફક્ત એક વ્યક્તિનું નહીં પણ એક પેઢીના વિશ્વાસનું હતું એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જ્યારે તેમના અકસ્માતના સમાચાર પહેલી વાર આવ્યા ત્યારે એવું લાગતું હતું કે કોઈ અકસ્માત થયો હશે અને કંઈક થયું હશે, પણ જ્યારે બીજા સમાચાર પાછળથી આવ્યા ત્યારે એ આઘાતજનક હતું. તેઓ ક્યારેય કોઈની સામે ઝૂક્યા નહોતા. જોકે જ્યારે તેમને ખ્યાલ આવતો કે તેમણે ભૂલ કરી છે ત્યારે તેઓ જાહેરમાં માફી માગવામાં અચકાતા નહોતા જે નોંધનીય છે. જ્યારે તેમને ઘણી ટીકા અને વિરોધનો સામનો કરવો પડ્યો ત્યારે પણ તેમણે કટોકટીથી પીઠ ફેરવી નહોતી. તેમના સ્વભાવમાં પારદર્શિતા હતી. દાદા એવી વ્યક્તિ તરીકે જાણીતા હતા જે તેમના શબ્દ અને સમય અનન્ય રીતે જીવતા હતા.’
રોહિત પવારે સજળ નયને સ્વર્ગસ્થ કાકાને યાદ કર્યા
બજેટ-સેશનના પહેલા દિવસે ગઈ કાલે વિધાનસભામાં રોહિત પવારે તેમના કાકા અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક થઈને સજળ નયને કહ્યું હતું કે ‘મારા કાકા મને મારા દેખાવનું ધ્યાન રાખવા કહેતા હતા. તેઓ મને મારા શર્ટનાં બટન યોગ્ય રીતે બંધ કરવા અને વાળ કપાવવા કહેતા હતા. તેઓ મને મારું શારીરિક વજન ઘટાડવા કહેતા, રાજકીય વજન નહીં. અજિત પવાર નિશ્ચય અને સખત મહેનત દ્વારા પાયાના સ્તરેથી ઊભરી આવ્યા હતા. કાકા અજિત પવારે ખૂબ નાની ઉંમરે પિતા ગુમાવ્યા પછી પવારસાહેબ (શરદ પવાર) તેમની સંભાળ પોતાના પુત્રની જેમ રાખતા હતા.’
