દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો તો રાજ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર સાધ્યું નિશાન
રાજ ઠાકરે
વિધાનસભામાં બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મિસિંગ લિન્ક પર ભેખડો ધસી પડી એ મુદ્દે વિપક્ષે કરેલી ટીકાનો વળતો જવાબ આપ્યો ત્યાર બાદ ગુરુવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું હતું. મિસિંગ લિન્ક જેવા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવવા એ મહારાષ્ટ્રનું અપમાન કેવી રીતે કહેવાય એવો પ્રશ્ન રાજ ઠાકરેએ કર્યો હતો.
MNSના રેલવે કામગાર સેનાના કાર્યક્રમ વખતે બોલતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘બીજા જ્યારે સત્તામાં હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) શું કરે છે? કોઈ મિસિંગ લિન્ક વિશે વાત કરે એ કેવી રીતે મહારાષ્ટ્રનું અપમાન કહેવાય? કોઈ સરકારની ટીકા કરે એનો અર્થ એ નથી કે તે મહારાષ્ટ્રનું અપમાન કરે છે. જો તમે કેન્દ્ર સરકાર વિરુદ્ધ કંઈ બોલો તો એને દેશવિરોધી ગણી લેવાય છે. ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વિરોધીઓને નિશાન બનાવવાનું BJPએ શરૂ કર્યું હતું, જે હવે એમને જ નડી રહ્યું છે.’
ADVERTISEMENT
આ સિવાય કૉન્ટ્રૅક્ટરોએ સરકારી પ્રોજેક્ટો હાથમાં લેતી વખતે ૫૪ ટકા કમિશન ચૂકવ્યું હોવાનું પણ રાજ ઠાકરેએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે બુધવારે દેવેન્દ્ર ફડણવીસે મિસિંગ લિન્ક પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવનારા મહારાષ્ટ્રનું અપમાન કરતા હોવાનું વિધાનસભામાં કહ્યું હતું અને મિસિંગ લિન્ક મુદ્દે ભાડૂતી લોકો પૈસા લઈને ખોટો ભ્રમ ફેલાવતા હોવાની ટીકા કરી હતી.
અયોધ્યાના રામ મંદિરમાં દાનના પૈસાની ચોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો
અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં અપાયેલા પૈસાની ઉચાપતના મુદ્દે BJPની ટીકા કરતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ચોરી વિશે સવાલ પૂછવો એ ધર્મનું અપમાન નથી. આ મંદિરના ૧૫ ટ્રસ્ટીમાંથી ૧૨ ટ્રસ્ટી કેન્દ્ર સરકારે જ નિયુક્ત કર્યા હતા જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને BJPથી સંકળાયેલા હતા. જો બીજું કોઈ સત્તામાં હોત અને આ ચોરી બહાર આવી હોત તો BJP શું કરત?’
