કેટલીક લોકલ રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક બોરીવલી અને અંધેરીની ટ્રેનો હાર્બર લાઇન પર ફક્ત ગોરેગામ સુધી જ ચાલશે એમ જણાવાયું છે.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં ટ્રૅક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોના મેઇન્ટેનન્સ માટે રવિવારે, ૧૯ એપ્રિલે સાંતાક્રુઝ અને ગોરેગામ સ્ટેશન વચ્ચે પાંચ કલાકનો જમ્બો બ્લૉક રહેશે. સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે આવતી અને જતી બન્ને ફાસ્ટ લાઇન પર સવારે દસથી બપોરે ૩ વાગ્યા સુધી બ્લૉક અમલમાં રહેશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન બધી ફાસ્ટ લોકલ ટ્રેનોને સાંતાક્રુઝ અને ગોરેગામ વચ્ચે સ્લો લાઇન પર દોડાવવા માટે ડાઇવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કેટલીક લોકલ રદ કરવામાં આવશે, જ્યારે કેટલીક બોરીવલી અને અંધેરીની ટ્રેનો હાર્બર લાઇન પર ફક્ત ગોરેગામ સુધી જ ચાલશે એમ જણાવાયું છે.
પાલઘર-ઉમરોળી વચ્ચે બ્લૉકને પગલે એક્સપ્રેસ ટ્રેનો અટવાશે
પાલઘર અને ઉમરોળી વચ્ચે મોટા એન્જિનિયરિંગ બ્લૉકને કારણે શનિવાર ઉપરાંત રવિવારે પણ ટ્રેનસેવાઓમાં ખલેલ પડશે એવી જાહેરાત વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવી છે. રેલ સેફ્ટી અને કૅપેસિટીમાં સુધારો કરવાના હેતુથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાના એક મહત્ત્વપૂર્ણ ભાગ ગર્ડર ડીલૉન્ચિંગ કાર્ય માટે આ બ્લૉક હાથ ધરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. દહાણુ રોડથી વિરાર સ્લો લોકલ રદ કરવામાં આવી છે, જ્યારે સુરતથી વિરાર MEMU સેવા દહાણુ રોડ પર થોડા સમય માટે બંધ કરવામાં આવશે.
ADVERTISEMENT
મુંબઈ સેન્ટ્રલથી હાપા દુરૉન્તો એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલથી ઇન્દોર દુરૉન્તો એક્સપ્રેસ અને બાંદરા ટર્મિનસથી જામનગર હમસફર એક્સપ્રેસ સહિતની ટ્રેનો વીસથી પંચાવન મિનિટ મોડી પડશે. દાદરથી ભુસાવળ ખાનદેશ એક્સપ્રેસ અને બાંદરા ટર્મિનસથી હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનોના ટાઇમટેબલને પણ અસર થશે.
હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં આજે બ્લૉક
હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ વચ્ચે સવારે ૯.૪૫થી બપારે ૩.૪૯ વાગ્યા સુધી ટ્રેનો નહીં દોડે, જ્યારે ટ્રાન્સ હાર્બર લાઇનમાં થાણેથી પનવેલ જતી ટ્રેનો પણ સવારે ૧૦.૦૧થી બપોરે ૩.૫૩ વાગ્યા સુધી નહીં દોડે.
