ક્યાંક મહાયુતિના ઉમેદવારોએ બંડ પોકાર્યું તો ક્યાંક મહા વિકાસ આઘાડીના ઉમેદવારોએ બળવો કર્યો
પ્રતીકાત્મક તસવીર
૧૮ જૂને થનારી મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૭ બેઠકોની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂરી થઈ હતી, જેમાં ૧૭ બેઠકો માટે કુલ ૪૦ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં. મહા વિકાસ આઘાડી અને મહાયુતિ બન્નેના ઉમેદવારોમાં અમુક બેઠકો પર નારાજગી જોવા મળી હતી. ઉમેદવારી મળશે એવી આશાએ બેઠેલા નેતાઓને ઉમેદવારી ન મળતાં તેમણે બંડ પોકારીને ધરાર ઉમેદવારી નોંધાવી હતી તો અમુક બેઠક પર બળવો કરીને નેતાઓ અપક્ષ ઊભા રહ્યા હતા. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ એટલે કે ૪ જૂન સુધીમાં બધાને સમજાવી લેવાશે એવી આશા મહા વિકાસ આઘાડી અને મહાયુતિના નેતૃત્વને છે.
પુણેમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા, NCPના બે નેતાએ ઉમેદવારી નોંધાવી
ADVERTISEMENT
ખાસ કરીને પુણેમાં ડ્રામા જોવા મળ્યો હતો, જ્યાં મહાયુતિ તરફથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ વિક્રમ કાકડેને ઉમેદવારી આપતાં NCPના નેતા સુનીલ ટિંગરે નારાજ થયા હતા અને તેમણે પણ વિક્રમ કાકડે સામે પક્ષ તરફથી જ ઉમેદવારી નોંધાવી હતી. NCPએ સ્પષ્ટતા કરવી પડી હતી કે તેમના સત્તાવાર ઉમેદવાર વિક્રમ કાકડે જ છે. સુનેત્રા પવારે પણ પક્ષના નેતાઓને નારાજ ન થવાની અપીલ કરવી પડી હતી. અહીં પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે સુનીલ ટિંગરેના સમર્થકોએ પક્ષમાંથી રાજીનામાં આપવાની તૈયારી પણ બતાવી હતી. પુણેની બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભાગે આવે એવી ઇચ્છા રાખનારા નેતા પણ નારાજ થયા હતા. આ સિવાય નાશિકની બેઠક શિવસેનાના ફાળે ગઈ હોવાથી ત્યાં પણ BJPના અને NCPના નેતા નારાજ રહ્યા હતા. છત્રપતિ સંભાજીનગરની બેઠક BJPના ફાળે ગઈ છે અને ત્યાં સુહાસ શિરસાટને ઉમેદવારી સોંપાઈ છે ત્યાં શિવસેનાના નેતા અબ્દુલ સત્તારના દીકરા સમીર સત્તારે પણ ઉમેદવારી નોંધાવતાં અંટસ સામે આવી છે.
મહા વિકાસ આઘાડીમાં પણ બધું ‘ઑલ ઇઝ નૉટ વેલ’
બીજી બાજુ મહા વિકાસ આઘાડીમાં સાંગલીની બેઠક નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના ઉમેદવારને મળતાં કૉન્ગ્રેસ અને શિવસેના નારાજ થઈ હતી. ભંડારામાં ગોંદિયામાં પણ મહા વિકાસ આઘાડીના પક્ષના નેતાઓ ઉમેદવારી ન મળતાં નારાજ જણાયા હતા.
બધું સમુસૂંતરું પાર પડશે, બધાની નારાજગી દૂર થઈ જશે : એકનાથ શિંદે
સોલાપુર, અમરાવતી અને નાશિક સહિતની બેઠકોને લઈને મહાયુતિમાં ડખા પડ્યા હોવાની વાત છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહાયુતિમાં અસંતોષ હોવાની વાતને ફગાવી હતી અને વિધાન પરિષદની બધી જ ૧૭ બેઠકો પર મહાયુતિની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ક્યાંય અસંતોષ નથી અને ૪ જૂને ઉમેદવારી પાછી ખેંચવાની મુદત સુધીમાં બધા જ મતભેદ દૂર થઈ જશે.
