એકનાથ શિંદેના બળવાને સમર્થન આપવા વિશે બીજેપી કંઈ કહે એ પહેલાં તેમણે પોતે જ આડકતરી રીતે એના સમર્થનનો સ્વીકાર કર્યો
Maharashtra Political Drama
પોતાને સપોર્ટ આપનાર શિવસેનાના વિધાનસભ્યો સાથે ગુવાહાટીની હોટેલમાં ચર્ચા કરી રહેલા એકનાથ શિંદે (તસવીર : પીટીઆઇ)
રાજ્યમાં એકનાથ શિંદેના બળવાને સમર્થન આપવા વિશે બીજેપી કંઈ કહે એ પહેલાં એકનાથ શિંદેએ પોતે જ આડકતરી રીતે જેણે પાકિસ્તાન પર હુમલો કર્યો એ મહાશક્તિના સમર્થનનો સ્વીકાર કર્યો છે.
વિધાનસભ્યોના દળના નેતા તરીકે ચૂંટાયા બાદ તેમના જૂથને સંબોધન કરતા ફુટેજમાં શિંદેએ કહ્યું હતું કે ‘પરિસ્થિતિ ગમે તે હોય, આપણે સાથે રહીશું તો જીત આપણી જ છે. એક રાષ્ટ્રીય પક્ષ અને મહાશક્તિ જેણે પાકિસ્તાન પર હુમલો કર્યો છે એણે આપણા નિર્ણયને સમર્થન આપ્યું છે અને એને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે આપણને જે જોઈએ એ આપવાનું વચન આપવાની સાથે પોતાની તમામ શક્તિ આપણા માટે ખર્ચવાની ખાતરી આપી છે.’
ADVERTISEMENT
એ સ્પષ્ટ છે કે એકનાથ શિંદે અને તેમના જૂથે રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાણ કરવાનું મન મનાવી લીધું છે. એકનાથ શિંદેના નિવેદનને મુખ્ય પ્રધાનના જૂથના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. પક્ષના મુખ્ય પ્રવક્તા સંજય રાઉત દ્વારા બળવાખોરોને ૨૪ કલાકની મુદત આપીને ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડી સરકારમાંથી બહાર નીકળવાની માગણી પર વિચાર કરવાની શરતે ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી.
જો તમે સૈનિક છો તો બહાદુર બનો અને મુંબઈ આવવાની હિંમત દેખાડો એમ જણાવીને સંજય રાઉતે પક્ષના કાર્યકરોને બળવાખોર શિવસૈનિકોને આવકારવા તૈયાર રહેવાની આપેલી ચેતવણી વાસ્તવમાં સૂચના સાથેની અપીલ જણાતી હતી.
એનસીપીના નેતા અજિત પવારે વ્યંગાત્મક ટિપ્પણી કર્યા બાદ ગુવાહાટીનો વિડિયો બહાર પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર કાંડમાં તેમણે બીજેપીનો હાથ ન હોવાનું જણાયું હતું, જ્યારે કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ નાના પટોલેને આ સમગ્ર પ્રકરણમાં બીજેપીનો હાથ દેખાઈ રહ્યો હતો. પટોલેને તો એકનાથ શિંદેના ગ્રુપ માટે કોણ તમામ વ્યવસ્થા કરી રહ્યું છે એ જ સમજાતું નથી, જ્યારે પવાર અને પટોલેએ સરકારને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેને પૂરો ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.
એકનાથ શિંદેનું ફુટેજ બહાર પડ્યું એના એક કલાક પહેલાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ નવી દિલ્હી જવા રવાના થયા હતા, જે એ સંકેત આપે છે કે બીજેપી ઉદ્ધવ ઠાકરે સરકારને ઊથલાવી પાડવા માટે પૂરી તૈયારી સાથે બહાર આવશે. અત્યાર સુધી બીજેપીએ મૌન સેવ્યું છે; પરંતુ હકીકત એ છે કે એણે એના નેતાઓને, ખાસ કરીને વર્બોઝ લોકો માટે એક ગૅગ ઑર્ડર જારી કર્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ઑપરેશન લોટસનો સંપૂર્ણ કમાન્ડ બીજેપીના હાઇકમાન્ડ પાસે છે, જેમાં ફડણવીસ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
પક્ષના વિધાનસભ્યો, સંસદસભ્યો અને નેતાઓ સાથેની તેમની બેઠક પછી શરદ પવારે શિંદેના ભાગીદાર તરીકે બીજેપીની પુષ્ટિ કરતાં કહ્યું કે તેમણે વિડિયો જોયો છે, જેમાં શિંદે કહે છે કે એક રાષ્ટ્રીય પાર્ટીએ તેમને સમર્થન આપ્યું છે. તેમના મતે ચૂંટણીપંચ દ્વારા માન્ય ૭ રાષ્ટ્રીય પક્ષોની યાદીમાંથી (અન્ય પક્ષોને રાજ્યમાં વિશેષ રસ ન હોવાથી) માત્ર બીજેપી જ એ કરી શકે છે.
તેમે કહ્યું હતું કે અજિત પવાર ગુજરાત અને આસામ વિશે જાણતા નથી, પરંતુ હું એવા લોકોને ઓળખું છું જેઓ આસામમાં બળવાખોરોનું સંચાલન કરી રહ્યા છે અને ગુજરાતમાં તેમને મદદ કરી રહ્યા છે. તેમણે ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ, બીજેપીની આગેવાની હેઠળની આસામ સરકાર અને ત્યાંના પક્ષના નેતાઓનાં પણ નામ આપ્યાં હતાં.
કટોકટી વિશે શરદ પવારે કહ્યું હતું કે ‘બળવાખોરોએ મહારાષ્ટ્ર વિધાનભવનમાં આવવું પડશે. બીજેપી કદાચ તેમને અહીં માર્ગદર્શન નહીં આપે. ગૃહમાં બહુમતી સાબિત થશે. અમે જાણીએ છીએ કે વિધાનસભ્યો અહીં આવ્યા પછી આસામ કેમ ગયા.’
બળવાખોરોને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે તેમને ગેરલાયક ઠરાવવામાં આવી શકે છે. શરદ પવારે તેમની કાર્યવાહી પક્ષપલટાવિરોધી કાયદાની વિરુદ્ધ ગણાવીને છગન ભુજબળ અને કૉન્ગ્રેસમાં જોડાવા માટે સેના છોડી દેનારા અન્ય લોકોની હારને યાદ કરતાં કહ્યું હતું કે પક્ષપલટો કરનારાઓ પેટાચૂંટણી પણ હારી ગયા છે અને આ કિસ્સામાં પણ સમાન શક્યતાને નકારી ન શકાય.
શરદ પવારે નાણાપ્રધાન અજિત પવાર દ્વારા ભંડોળની અયોગ્ય ફાળવણીના કૉન્ગ્રેસના આક્ષેપને ફગાવી દીધો હતો. પટોલેના આરોપનો જવાબ આપતાં તેમણે ફરિયાદો તથ્ય પર આધારિત ન હોવાનું જણાવ્યું હતું.