આજે પણ આ જ સ્થિતિ યથાવત્ રહેશે, ઍરપોર્ટ પર પ્લેન પાર્ક કરવાની જગ્યા ન હોવાથી ડાઇવર્ઝન માટે પણ મુંબઈ ઍરપોર્ટ ઉપલબ્ધ ન રહ્યું, લે-ઓવરના મુસાફરો પણ રઝળ્યા
ફ્લાઇટ વિશે કોઈ પણ સ્પષ્ટતા ન થતાં અનેક મુસાફરો મુંબઈ ઍરપોર્ટ પર અટવાઈ ગયા હતા.
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પરના હુમલા અને ગલ્ફમાં ઍરસ્પેસ બંધ કરવામાં આવ્યા બાદ રવિવારે પણ મુંબઈ અને દિલ્હી ઍરપોર્ટ પર ૨૨૫ જેટલી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશને પહેલી માર્ચે ભારતમાં ૪૪૪ ફ્લાઇટ્સ રદ થાય એવી શક્યતા જણાવી હતી. સાંજ સુધીમાં દેશનાં વિવિધ ઍરપોર્ટ્સ પર ૩૫૦ ફ્લાઇટ્સ રદ થઈ હતી.
મુંબઈ ઍરપોર્ટ પર ૧૨૫ ફ્લાઇટ્સ અને દિલ્હી ઍરપોર્ટ પર ઓછામાં ઓછી ૧૦૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ આજે પણ યથાવત્ રહે એવી સંભાવના છે, જ્યારે બે દિવસથી ફ્લાઇટ્સ રદ થવાને કારણે પરિસ્થિતિ નૉર્મલ થતાં હજી એક સપ્તાહ લાગે એવી સંભાવના હોવાનું ઍરપોર્ટ ઑથોરિટીના અધિકારી જણાવ્યું હતું. ૭ માર્ચ સુધી મોટા ભાગની ફ્લાઇટ્સ નૉન-ઑપરેશનલ રહે એવી સંભાવના છે.
ADVERTISEMENT
રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈ ઍરપોર્ટ પર ૬૭ મુંબઈથી ઊપડતી અને ૫૮ મુંબઈ આવતી ફ્લાઇટ રદ રહી હતી. આ ઉપરાંત પાર્કિંગની જગ્યાની અછતને કારણે મુંબઈ ઍરપોર્ટ પર શનિવારે રાત્રે ૯ વાગ્યાથી પહેલી માર્ચ સુધી સવારે ૮ વાગ્યા સુધી ડાઇવર્ઝન માટે કોઈ પણ ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર આવી નહીં શકે એવી નોટિસ ટુ ઍરમેન (NOTAM) જાહેર કરી હતી. એને કારણે ઘણી ફ્લાઇટ્સ એમના મૂળ ઍરપોર્ટ પર પાછી ફરી રહી હતી અથવા નજીકના ઍરપોર્ટ પર ડાઇવર્ટ થઈ હતી.
ઍર ઇન્ડિયા અને ઇન્ડિગોના મુસાફરો કોઈ પણ વધારાના ખર્ચ વિના તેમની ફ્લાઇટ્સ રીશેડ્યુલ કરી શકે છે અથવા સંપૂર્ણ રીફન્ડ માગી શકે છે એવી જાહેરાત કરવામાં આવી હતી. એમ છતાં અચાનક ટ્રાવેલિંગ-પ્લાનમાં થયેલા ફેરફારને લીધે હજારો મુસાફરો ઍરપોર્ટ પર ફસાયા હતા. મુંબઈ ઍરપોર્ટ પર ઠેર-ઠેર મુસાફરો જમીન પર સૂતેલા અને બૅગેજ સાથે અટવાયેલા દેખાયા હતા. નાનાં બાળકો સાથે ઍરપોર્ટ પર પહોંચેલા પરિવારોને ભારે હાલાકી થઈ હતી. માત્ર ગલ્ફના દેશોની જ ફ્લાઇટ્સ નહીં, ગલ્ફના દેશોમાં લે–ઓવર હોય એવી USA સહિત અન્ય દેશોની ફ્લાઇટના મુસાફરો પણ અટવાયા હતા. કનેક્ટિંગ ફ્લાઇટ્સ મિસ થવાને કારણે મુસાફરોની મુશ્કેલી વધી હતી.
