Mumbai CNG Pump: ગૅસ પાઈપલાઈનમાં લીકેજ થયું હોવાથી સીએનજી પંપ પર ભારે કતારો લાગી છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૅસના નીચા દબાણને કારણે શહેરના ઘણા સીએનજી પંપ સવારથી બંધ કરી દેવાયા છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાંથી મહાનગર ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ (Mumbai CNG Pump) થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ જ કારણોસર મુંબઈ, નવી મુંબઈ અને થાણેને સીએનજી ગૅસ પહોંચાડતી પાઇપલાઇનમાં ગૅસનો પુરવઠો અટકી ગયો છે. કેટલીક જગ્યાએ સીએનજીનો પુરવઠો હાલમાં બંધ પણ કરવામાં આવ્યો છે અને કેટલીક જગ્યાએ નીચા દબાણ પર પુરવઠો કરવામાં આવી રહ્યો છે. અચાનકથી ગૅસ પાઈપલાઈનમાં લીકેજ થયું હોવાથી સીએનજી પંપ પર ભારે કતારો લાગી છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈના સીએનજી પંપોમાં સોમવારે મોટી ગૅસ પાઈપલાઈનમાં ભંગાણ થયું હતું. જેના કારણે પુરવઠો ખોરવાયો હતો અને હજારો ઓટોરિક્ષા, ટેક્સીઓ અને અન્ય સીએનજી વાહનોને અસર પડી હતી.
ADVERTISEMENT
સ્થાનિક પેટ્રોલ ડીલર્સ (Mumbai CNG Pump) સંસ્થાના પ્રતિનિધિએ આ મામલે જણાવ્યું હતું કે ગૅસના નીચા દબાણને કારણે શહેરના ઘણા સીએનજી પંપ સવારથી બંધ કરી દેવાયા છે. આ હાલાકીને કારણે મોટી સંખ્યામાં ઓટોરિક્ષા અને ટેક્સીઓ જેમાં ખાસ કરીને ઓલા અને ઉબેર જેવા એગ્રીગેટર્સ દ્વારા સંચાલિત ઓટો રિક્ષા અને શહેરમાં જાહેર પરિવહન સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી કેટલીક બસો મહાનગર ગૅસ લિમિટેડ (એમજીએલ) દ્વારા પૂરા પાડવામાં આવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (સીએનજી) પર આધાર રાખે છે
રવિવારે રાત્રે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એમજીએલએ (Mumbai CNG Pump) જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (આરસીએફ) કમ્પાઉન્ડની અંદર ગેઇલની મુખ્ય ગૅસ સપ્લાય પાઇપલાઇનને નુકસાન થવાના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. જેના કારણે વડાલા ખાતેના તેના સિટી ગેટ સ્ટેશન (સીજીએસ)ના પ્રવાહને અસર થઈ હતી. અસરગ્રસ્ત પુરવઠાને કારણે સમગ્ર નેટવર્ક પર દબાણ લો થયું હતું. મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ઘણા સીએનજી સ્ટેશન મર્યાદિત ક્ષમતા પર કાર્યરત હતા અથવા તો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા. પરિણામે લાંબી કતારો લાગી હતી અને રિફ્યુઅલિંગ માટે રાહ જોવાનો સમય લંબાયો હતો. આજે આ જ કારણોસર પરિવહનને પણ અસર પડે એવી શક્યતા છે.
હાલ મુંબઈમાં 130થી 140 સીએનજી પંપ (Mumbai CNG Pump) છે, જેમાં એમજીએલની પોતાની સુવિધાઓ પણ સામેલ છે. પેટ્રોલ ડીલર્સ એસોસિએશન (મુંબઈ)ના અધ્યક્ષ ચેતન મોદીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ગૅસના પુરવઠાના લો પ્રેશરને કારણે શહેરના ઘણા સીએનજી પંપ સવારથી કામ કરી રહ્યા નથી. તેઓએ આગળ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં જ્યારે તેમણે એમજીએલના અધિકારીઓ સાથે વાત કરી હતી, ત્યારે તેમને જાણવા મળ્યું કે સામાન્ય સીએનજી પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને આરસીએફ ખાતે ક્ષતિગ્રસ્ત પાઇપલાઇનનું સમારકામ કરવામાં આખો દિવસ લાગી શકે છે. મેં સવારથી મારો પોતાનો પંપ બંધ રાખ્યો છે કારણ કે ત્યાં કોઈ (ગૅસ પુરવઠો) દબાણ નથી.


